એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ આજે ચેન્નાઈ અને કોલકાતામાં ૬ સ્થળો ઉપર વ્યાપક તપાસ હાથ ધરી હતી. પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના સગાસંબંધીઓ સાથે જોડાયેલા લોકોના આવાસ અને સંપત્તિ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને આવરી લેતા એરસેલ-મેક્સિસ સોદાબાજી કેસના ભાગરુપે આ તપાસ કરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓએ કોલકાતામાં બે અને ચેન્નાઈમાં ચાર સ્થળો પર એક સાથે તપાસ હાથ ધરી હતી. ચેન્નાઈમાં તેનામપેટ, અલવરપેટ અને તિરુવનમિયુરમાં તપાસ કરવામાં આવી હતી જ્યારે કોલકાતામાં બે સ્થળોએ રેલી રોડ અને લવલોક પ્લેસમાં તપાસ કરવામાં આવી હતી. ઇડીનો આ કેસ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવેલા સોદાના સંદર્ભમાં રહેલો છે. એરસેલ-મેક્સિસ માટે ૨૦૦૬માં મંજુરી આપવામાં આવી હતી. ઇડીનો એવો આક્ષેપ છે કે, કાર્તિએ બાતમી મળ્યા બાદથી અનેક બેંક ખાતાઓ બંધ કરી દીધા છે. આ ઉપરાંત અન્ય ખાતાઓ બંધ કરવાના પ્રયાસમાં છે. પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સંપત્તિ ટાંચમાં લેવાના પ્રયાસ થઇ શકે છે તેવી હતાશામાં અન્ય બેંક ખાતાઓ બંધ કરવાના પ્રયાસ કાર્તિ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. કાર્તિ ચિદમ્બરમ ઉપર ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ દ્વારા હાલમાં મજબૂત સકંજો જમાવવામાં આવી ચુક્યો છે. આવી સ્થિતિમાં ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને આગામી દિવસોમાં રાજકીય અને કાયદાકીય બંને મોરચા ઉપર આક્ષેપબાજીનો સામનો કરવો પડી શકે છે. કાર્તિ સામેના આક્ષેપોને ચિદમ્બરમે હંમેશા રદિયો આપ્યો છે પરંતુ તેમની સામે પુરાવા હોવાનો દાવો ઇડી અને અન્ય તપાસ સંસ્થાઓ કરી રહી છે અને આના આધારે જ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પાછલી પોસ્ટ