અમદાવાદ શહેરના પૂર્વના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે.તેમાં પણ પૂર્વના વિસ્તારોમાં અમરાઈવાડી વિસ્તારમાં આવતા અલગ અલગ વિસ્તારોમાંથી આ મેટ્રો ટ્રેનને પસાર કરવા કરવામા આવી રહેલી કામગીરી દરમિયાન અનેક રસ્તાઓ તૂટી જવા પામ્યા છે જેને લઈને અકસ્માતોની સંખ્યામા વધારો થવાની સાથે ઉડી રહેલી ધૂળને કારણે સ્થાનિક રહીશો ત્રાહીમામ બન્યા છે.જો આ રસ્તાઓ તાકીદે રિસરફેસ કરવામા નહી આવે તો સ્થાનિક રહીશો દ્વારા કામગીરીને અટકાવી દેવાથી લઈને કોર્પોરેશનની કચેરી ઉપર ઘેરાવો કરવાની ચીમકી આપવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રબારી કોલોની ચાર રસ્તાથી ન્યુ કોટન એપરલ પાર્ક સુધીના રસ્તા ઉપર મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે.આ કામગીરીને લઈને રસ્તાઓ તૂટી જવા પામ્યા છે.આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડે એક નિવેદનમા કહ્યુ છે કે,તૂટેલા રસ્તાને કારણે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે,નાગરિકોને તેમના વાહન ચલાવવામા પણ મુશ્કેલી પડી રહી છે.ઉપરાંત રોડ પર ઉડતી ધૂળ અને રજકણોના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને જીવન જીવવુ મુશ્કેલ બની જવા પામ્યુ છે.તેઓના જાહેર આરોગ્ય સાથે મેટ્રો અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા ચેડાં કરવામા આવી રહ્યા છે.રહીશો શ્વાસની બીમારીનો ભોગ બની રહ્યા છે.આ બાબતમાં મ્યુનિસિપલ તંત્ર અને મેટ્રોના જવાબદાર અધિકારીઓ સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પ્રકારની કામગીરી કરવામા આવી નથી.જો આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવીને રસ્તા રીપેર કરવામા નહી આવે તો સ્થાનિક રહીશો દ્વારા મેટ્રો પ્રોજેકટની કામગીરી અટકાવી દેવા ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને ઘેરાવ કરવામા આવશે.ઔએ