ભારતમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે. આજે વહેલી પરોઢે વધુ એક ટ્રેન દુર્ઘટના થઇ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. તે પહેલા પણ અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે. મોટા ભાગે ઉત્તરપ્રદેશમાં જ અકસ્માતો થયા છે. ટ્રેન દુર્ઘટનાના મામલે દેશભરમાં ભારે ખળભળાટ મચેલો છે ત્યારે એવું જાણવા મળ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૫૯૦ ટ્રેન અકસ્માતો થઇ ચુક્યા છે જે પૈકી પાટા પરથી ખડી પડવાના કારણે ૫૭ ટકા ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. છતાં રેલવે તંત્ર દ્વારા સુરક્ષાના નામ ઉપર ઓછા પગલા લેવાયા છે. રેલવે તંત્રને અપગ્રેડ કરવા અને આવા બનાવોને રોકવા માટે શ્રેણીબદ્ધ પગલાઓની ઘોષણા સતત થતી રહી છે પરંતુ અકસ્માતોનો દોર જારી રહ્યો છે. થોડાક મહિના પહેલા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર નજીક ઉત્કલ એક્સપ્રેસના ૧૪ કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. નવેમ્બર ૨૦૧૪ બાદથી ૨૦ રેલવે અકસ્માતો થઇ ચુક્યા છે જે પૈકી કેટલાક નજીવા અકસ્માતો થયા છે. ૨૦મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. એ વખતે ઇન્દોર-પટણા એક્સપ્રેસ કાનપુર નજીક ખડી પડતા ૧૫૦ના મોત થયા હતા અને ૧૫૦ લોકો ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશમાં ચોથી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે ટ્વીન રેલવે દુર્ઘટના થઇ હતી તે દિવસે વારાણસી તરફ આવી રહેલી કામખ્યા એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી હતી. ત્યારબાદ જનતા એક્સપ્રેસ પણ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી જેમાં બંને બનાવને ગણીને ૩૧ લોકોના મોત થયા હતા અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. ૨૫મી મે ૨૦૧૫ના દિવસે ઉત્તર પ્રદેશમાં રોરકેલા-જમ્મુતવી દુર્ઘટનાગ્રસ્ત થતાં પાંચના મોત થયા હતા. ટ્રેન અકસ્માતોને રોકવા માટેના પગલા બિન અસરકારક સાબિત થઇ રહ્યા છે.
પાછલી પોસ્ટ