ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સકારાત્મકતા(ભાજપ) અને નકારાત્મકતા(કોંગ્રેસ)વચ્ચેની લડાઇ છે. આ વખતે જાતિવાદ-પરિવારવાદ સામે વિકાસવાદની લડાઇ છે અને તેમાં નિશંકપણે વિકાસવાદ(ભાજપ) જીતશે એમ આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ હુંકાર કર્યો હતો. અમદાવાદની મુલાકાતે આવેલા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર ખાસ કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષેાથી ગુજરાત અને ગુજરાતની જનતા સાથે ઓરમાયુ વર્તન દાખવ્યું છે. લીડર લેસ, એજન્ડા લેસ અને વીઝન લેસ કોંગ્રેસ ગુજરાતને ડેવલપમેન્ટ લેસ કરી દેશે. પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે સકારાત્મકતા અને નકારાત્મકતા વચ્ચેની ચૂંટણી છે, એકબાજુ સકારાત્મકતા છે, જે લોકોને એકબીજા સાથે જોડવાની વાત કરે છે અને બીજીબાજુ જાતિવાદ-પરિવારવાદની નકારાત્મકતા છે, જે સમાજને તોડવાની રાજનીતિ કરે છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ વર્ષોથી ગુજરાતને અને ગુજરાતના લોકોને અન્યાય કર્યો છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જયારથી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદે જોયા ત્યારથી જ તેઓ તેમની વિલક્ષણતા જાણી ગયા હતા અને તેથી દેશને વિકાસની નવી ઉંચાઇએ લઇ જવા માંગતા મોદીજીના માર્ગમાં તેમણે અનેક અંતરાયો નાંખ્યા કારણ કે, આ એવા લોકો છે કે જે કોઇપણ દેશને વિકાસની ઉંચાઇએ લઇ જવા માંગતા કોઇપણ વ્યકિતને આગળ વધવા દેતા નથી. ભૂતકાળમાં દેશના મહાન સપૂત સરદાર પટેલ સાથે પણ આવું જ થયું હતું. નહેરૂજીએ તેમને કોમ્યુનીસ્ટ કહીને સંબોધ્યા હતા અને ત્યારે તેઓ કેબીનેટ છોડી ગયા હતા. તેમણે કોંગ્રેસ પણ હળવો કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, સાંભળ્યું છે કે, કોંગ્રેસે તેના કાર્યાલયનો વીમો ઉતરાવ્યો છે પરંતુ તેમના હાઇકમાન્ડે કહ્યું છે કે, સમગ્ર કોંગ્રેસનો વીમો કરાવી લો પરંતુ કોઇ વીમાકંપની કોંગ્રેસનો વીમો ઉતારવા તૈયાર નથી કારણ કે, કોંગ્રેસનું કોઇ રાજકીય ભવિષ્ય નથી.
સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કર્યો હતો કે, શું રાહુલ ગાંધી ગુજરાતને અમેઠી મોડલ બનાવવા માંગે છે કે, જયાં છેલ્લા ૧૪ વર્ષોથી કોઇ બુનિયાદી સુવિધા કે સવલતો ઉપલબ્ધ બનાવાઇ નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતાએ કોંગ્રેસના પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ્ને લઇ પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ કોઇએ નિવેદન કર્યું હતું કે, ચિદમ્બરમ્ એટલે ફાધર ઓફ ફ્રેન્ડ, ફ્રોડ અને ફિલોસોફી. ચિદમ્બરમે તેમના પુત્ર પર ભ્રષ્ટાચારના જે આરોપો લાગ્યા છે તે મુદ્દે વાત કરવી જોઇએ, બીજી નહી.