Aapnu Gujarat
ગુજરાત

નોટબંધીનો શિકાર સીનીયર સીટીઝનનો કિસ્સો હાઇકોર્ટમાં

શહેરના ગોતા વિસ્તારમાં રહેતા અને નોટબંધી દરમ્યાન લંડન ગયેલા ૭૫ વર્ષીય વયોવૃધ્ધ દંપતિ આરબીઆઇ અને સીસ્ટમનો કેવી રીતે ભોગ બન્યા અને કેવી હાલાકીનો ભોગ બન્યા તેની હૃદયસ્પર્શી વ્યથા રજૂ કરતો એક મહત્વનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં આવ્યો છે. નોટબંધી દરમ્યાન લંડન ગયેલા આ વયોવૃધ્ધ દંપતિએ આવી તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ આરબીઆઇ સત્તાવાળાઓએ તેમને રૂ.૪૭ હજારની નોટ નહી બદલી આપતાં આ વૃધ્ધ દંપતિને ઘરડે ઘડપણ પોતાના મહેનતના પૈસા મેળવવા હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે. આઘાતજનક વાત તો એ છે કે, અરજદાર પતિ રશ્મિકાંતભાઇ શાહ આંખે જોઇ શકતા નથી, તેઓ પ્રજ્ઞાચક્ષુ છે અને તેમના પત્ની પણ વૃધ્ધ હોઇ બિમારીઓ સામે લડી રહ્યા છે. માત્ર રૂ.૪૭ હજાર બદલાવવા માટે આ વયોવૃધ્ધ દંપતિને રૂ.૧૨ હજારથી તો વધુનો ખર્ચ થઇ ગયો છે. હાઇકોર્ટે સમગ્ર કેસની ગંભીર નોંધ લીધી હતી અને રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ) વિરૂધ્ધ કારણદર્શક નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. અરજદાર રશ્મિકાંત બી.શાહ અને તેમના પત્ની દ્વારા કરાયેલી રિટ અરજીમાં સિનિયર એડવોકેટ કિરણ કે.શાહે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદારો વયોવૃધ્ધ દંપત્તિ છે અને પતિ રશ્મિકાંત પ્રજ્ઞાચક્ષુ છે. તેઓ તા.૨૧ ઓકટોબર,૨૦૧૬ના રોજ લંડન ગયા હતા અને તા.૧લી જાન્યુઆરી,૨૦૧૭એ અહીં પરત ફર્યા હતા. એ દરમ્યાન દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી, જેથી તેઓને તેમની પાસે રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ના દરની રૂ.૪૭ હજારની નોટો બદલાવવાની રહી ગઇ હતી. સરકારે જાહેરનામા મારફતે વિદેશ ગયેલા લોકો માટે કરેલી ખાસ વ્યવસ્થાના ભાગરૂપે અરજદારો તેમની નોટો બદલાવવા અમદાવાદ આરબીઆઇ ગયા ત્યારે તેમને મુંબઇ આરબીઆઇમાં જવા જણાવાયું હતું.
અરજદારોએ નોટ બદલાવવા માટેના નિયત ફોર્મ, પાસપોર્ટ, વીઝાની કોપી, પાનકાર્ડ સહિતના જરૂરી તમામ દસ્તાવેજો અને પ્રક્રિયા પૂર્ણ કરી મુંબઇ આરબીઆઇમાં ફોર્મ જમા કરાવ્યા હતા, જેની એકનોલેજમેન્ટ રિસીપ્ટ પણ અપાઇ હતી. જો કે, આ માટે અરજદારોને આરબીઆઇના ચારથી પાંચ ધક્કા ખાવા પડયા હતા. ચોંકાવનારી આઘાતજનક હકીકત તો એ છે કે, અરજદારો જાતે ચાલી શકતા નથી અને તેમની સાથે કોઇ સક્ષમ વ્યકિતની હાજરી જરૂરી બને છે. તેમછતાં તેઓને આ હાલાકીભરી પરિસ્થિતિમાંથી પસાર થવુ પડયું. આરબીઆઇએ પંદર દિવસમાં તેમના ખાતામાં પૈસા જમા થઇ જશે તેવી હૈયાધારણ આપી હતી પરંતુ આજે નવ મહિના વીતી ગયા બાદ પણ તેમના પૈસા ખાતામાં જમા થયા નથી. મુંબઇના વારંવારના ધક્કા અને અન્ય ખર્ચાઓ મળી અરજદારોને તેમના રૂ.૪૭ હજાર બદલાવવા માટે રૂ.૧૨ હજારથી વધુનો ખર્ચ થઇ ગયો છે. આરબીઆઇ સત્તાવાળાઓ દ્વારા સ્પેસીફાઇડ બેંક નોટ(સેશેશન એન્ડ લાયબિલીટી) ઓર્ડિનન્સ-૨૦૧૬ની અને અન્ય સંબંધિત જોગવાઇઓનો સરેઆમ ભંગ કર્યો છે. આ સંજોગોમાં અરજદારોને તેમની હક્ક અને મહેનતના રૂ.૪૭ હજાર રૂપિયા ૧૮ ટકા વ્યાજ સાથે અપાવવા, આ પિટિશન કરવા પેટેના ખર્ચના રૂ.૧૦ હજાર અપાવવા અને માનસિક વ્યથા-યાતનાનો ખર્ચ અપાવવા સહિતની દાદ પિટિશનમાં માંગવામાં આવી હતી. સમગ્ર કેસની હકીકતો ધ્યાને લીધા બાદ હાઇકોર્ટે આરબીઆઇ પાસે ખુલાસો માંગ્યો હતો.

Related posts

गुजरात में झूठ सुन सुनकर विकास पागल हो गयाः राहुल

aapnugujarat

એ કાપ્યોના શોર વચ્ચે ઉત્તરાયણની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઇ

aapnugujarat

सूरत शहर में बच्चे के ऊपर से गुजर गई कार, खरोच तक नहीं आई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1