ઇરાન-ઇરાક સરહદ પર આવેલા આ વર્ષના સૌથી વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો વધીને હવે ૪૬૦થી પણ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગારી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વર્ષ ૨૦૧૭ના સૌથી વિનાશકારી ધરતીકંપ તરીકે આને જોવામાં આવે છે. ધરતીકંપના કારણે અભૂતપૂર્વ નુકસાન થયુ છે. હજારો ઇમારતો અને મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકો હજુ પણ જાહેર રસ્તામાં અને ખુલ્લામાં છે. ઘાયલોની સંખ્યા ૭૫૦૦થી વધારે આંકવામાં આવી છે. મોતનો આંકડો હજુ વધવાની દહેશત છે. ઇરાનના પાટનગર તહેરાનમાં સેવામાં મોટા પાયે લોકો આગળ આવ્યા છે. અહીં રક્તદાન કરવા સેંકડો લોકોએ લાઇન લગાવી હતી. ઇરાકમાં પણ આઠ લોકોના મોત થયા છે અને ૫૩૫થી વધારે ઘાયલ થયા છે. ઇરાનમાં ૪૫૦થી વધારે સત્તાવાર મોતનો આંકડો આવી ચુક્યો છે. ઇરાન અને ઇરાક બન્ને દેશોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અનેક ઇમારતો પ્રચંડ ભૂકંપના કારણે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગઇ છે. ઇરાકમાં ભૂકંપના આંચકા બગદાદમાં પણ અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે. ઇરાનના કરમાનશાહ પ્રાંતના ડેબ્યુટી ગવર્નરે કહ્યું છે કે, રાહત છાવણીઓ ઉભી કરવામાં આવી ચુક છે. ભૂકંપ હલબજાથી ૩૦ કિલોમીટરના અંતરે દક્ષિણ પશ્ચિમમાં રવિવારે રાત્રે ૯.૨૦ વાગે અનુભવાયો હતો. ઇરાકના સુલેમાનિયા પ્રાંતમાં પણ મોટી સંખ્યામાં લોકોને ઇજા થઇ છે. જે વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે તે આરબ અને યુરેશિયાઈ ટેક્ટોનિક પ્લેટની ૧૫૦૦ કિમી ફાલ્ટ લાઈનની હદમાં આવે છે. પશ્ચિમી ઇરાનથી ઉત્તર પૂર્વીય ઇરાક સુધી આ વિસ્તાર કેન્દ્રિત છે. જેથી ભૂકંપની દ્રષ્ટિએ આ સમગ્ર વિસ્તાર ખુબ જ સંવેદનશીલ છે. ઇરાન અને ઇરાક સરહદ પર આવેલા રવિવારના ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૭.૩ જેટલી ઉંચી આંકવામાં આવી હતી. દેશના ૧૪ રાજ્ય ધરતીકંપના કારણે પ્રભાવિત થયા છે. બીજી બાજુ ગઇકાલના વિનાશકારી ધરતીકંપ બાદ સ્કુલ અને કોલેજેમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. ઇરાન દુનિયાના સૌથી વધારે ભૂકંપ પ્રભાવિત વિસ્તારો પૈકી એક દેશ છે. આ અગાઉ વર્ષ ૨૦૦૩માં પણ વિનાશકારી આંચકો આવ્યો હતો. જેમાં ૨૬ હજાર લોકોના મોત થઇ ગયા હતા. કેટલાક ઇરાની અને ઇરાકી શહેરમાં સાવચેતીના પગલારૂપે વિજળી કનેક્શન કાપી દેવામાં આવ્યા છે. જેથી લોકો અંધારપટ હેઠળ આવી ગયા છે. બન્ને દેશોમાં પ્રચંડ આંચકા બાદ આફ્ટરશોક્સનો દોર જારી રહ્યો છે. જેથી દહેશત અકબંધ રહી છે.
લોકો જાહેર માર્ગો પર છે. ઇરાનમાં બે મોટા ભૂકંપના આંકડા વર્ષ ૨૦૦૫ અને વર્ષ ૨૦૧૨માં આવ્યા હતા જેમાં ક્રમશઃ ૬૦૦ અને ૩૦૦ લોકોના મોત થઇ ગયા હતા. કેટલાક દુરગામી વિસ્તારોમાં તો હજુ બચાવ ટુકડી પહોંચી પણ નથી.