ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ હાલમાં થઇ રહેલી ટિકા ટિપ્પણી વચ્ચે જવાબો આપ્યા છે. ધોનીએ કહ્યું છે કે, દરેક વ્યક્તિને પોતાના અભિપ્રાય આપવાનો અધિકાર છે. ટ્વેન્ટી-૨૦ ક્રિકેટમાંથી તેની નિવૃત્તિ અંગે માંગ થઇ રહી છે ત્યારે ધોનીએ આખરે મૌન તોડીને આ મુજબની પ્રતિક્રિયા આપી છે. અજીત અગરકર સહિત કેટલાક પૂર્વ ખેલાડીઓએ હાલમાં જ ધોનીના ટ્વેન્ટી-૨૦ ભાવિને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા જેના પરિણામ સ્વરુપે દેશના ક્રિકેટિંગ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ભૂતપૂર્વ ભારતીય સ્ટાર બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે પણ ધોની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. અજીત અગરકરે હાલમાં જ ધોનીના દેખાવ સામે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હવે સમય આવી ગયો છે જ્યારે ધોનીની જગ્યાએ બીજા વિકલ્પ ઉપર વિચારણા કરવી જોઇએ. જો કે, બે વખતના વિશ્વકપ વિજેતા કેપ્ટને કહ્યું છે કે, દરેક વ્યક્તિને લાઇફમાં પોતાના અભિપ્રાય આપવાનો હક છે અને તેમના અભિપ્રાયનું સન્માન થવું જોઇએ. અજીત અગરકર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ ધોનીે આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. યુવા ભારતીય ટીમ સાથે કેપ્ટન તરીકે વર્ષ ૨૦૦૭માં પ્રથમ ટ્વેન્ટી વર્લ્ડકપ જીતી લેનાર ધોનીએ ટીમ ઇન્ડિયાને વર્ષ ૨૦૧૧માં વનડે વર્લ્ડકપ વિજેતા બનાવવામાં સફળતા મેળવી હતી. ધોનીએ હાલમાં જ ન્યુઝીલેન્ડ સામે નિરાશાજનક દેખાવ કર્યો હતો જેના કારણે તેની સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામે બીજ ટ્વેન્ટી મેચમાં ભારતની ૪૦ રને હાર બાદ ધોની સામે પ્રશ્નો ઉઠવાન શરૂઆત થઇ હતી. કેટલાક લોકો ધોનીની ધીમી બેટિંગને લઇને પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ધોનીએ આજે આ અંગે વાત કરતા કહ્યું હતું કે, પરિણામ કરતા પ્રક્રિયા વધારે મહત્વપૂર્ણ છે.
આગળની પોસ્ટ