સુરતમાં આજે એક તરફ કોંગેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો રોડ-શો સહિતના પ્રચાર કાર્યક્રમો યોજાયા હતા, તો બીજીબાજુ, પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ સુરત કોર્ટમાં રાજદ્રોહના કેસને લઇ હાજર થયો હતો. હાર્દિક પટેલે આજે ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, પાટીદારો માટે અનામતની માંગણીને લઇ અમારી લડત ચાલુ રહેશે. ગુજરાત એ માત્ર ભાજપનું નથી. પાટીદારોની અનામત મુદ્દે કોંગ્રેસને તા.૬ઠ્ઠી નવેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને ત્યારબાદ જ અમે આગળની રણનીતિ જાહેર કરીશું. દરમ્યાન તાજેતરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સહિત પાટીદાર સમાજની છ સંસ્થાઓના આગેવાનો દ્વારા હાર્દિક પટેલ આણિમંડળી દ્વારા જાહેરમાં કરાયેલા ખુલ્લા વિરોધ અંગે હાર્દિક પટેલે આ આગેવાનોના વિરોધને ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે, મને કોઇ ફરક પડતો નથી, આવુ બધુ તો ચાલ્યા કરે. આ સંસ્થાઓ તો કાયમ રાજય સરકાર જોડે જ હોય છે. અમારી જોડે કયારે હોય છે? પાટીદારોની તો માત્ર બે સંસ્થાઓ જ છે ખોડલધામ અને ઉમિયાધામ. આ બંને સંસ્થાઓના પ્રમુખે પણ અનામતની પાટીદારોની માંગને ન્યાયી ગણાવી છે. દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પાટીદારોના ગઢ ગણાતા સુરતના વરાછા ધરમનગર રોડ પર જળક્રાંતિ મેદાનમાં જાહેરસભા સંબોધી પાટીદારોની સહાનુભૂતિ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, પાટીદાર વિસ્તારમાં ભાજપ માટે જાહેરસભા યોજવી બહુ મુશ્કેલ હોઇ કોંગ્રેસે સફળ તીર ચલાવી બાજી મારી હોવાનું પણ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
આગળની પોસ્ટ