નોટબંધી અને જીએસટીને લઇને ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, કોઇપણ સુધારા માટે તેઓ તૈયાર છે પરંતુ એક વખત લેવામાં આવેલા નિર્ણયોને બદલવામાં આવશે નહીં. મોદી કહી ચુક્યા છે કે, સરકાર સુધારા કરવાને લઇને ખુલ્લા મનથી વિચારશે પરંતુ મોટા સુધારાને પરત ખેંચવાની માંગણીને લઇને તેઓ બિલકુલ તૈયાર નથી. મોદીએ કોંગ્રેસ પાર્ટીની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, અગાઉની યુપીએ સરકારે માત્ર અટકાના, લટકાના, ભટકાના જેવી જ નીતિ અપનાવી હતી પરંતુ વર્તમાન સરકાર મક્કમ સુધારા અને કઠોર નિર્ણયને લઇને પણ ખચકાટ અનુભવ કરતી નથી. કઠોર સુધારાની દિશામાં સરકાર યથાવતરીતે આગળ વધશે. દેશહિતમાં તમામ પગલા લેવામાં આવશે. નોટબંધીને લઇને એકબાજુ કોંગ્રેસ પાર્ટી ૮મી નવેમ્બરના દિવસે કાળા દિવસ તરીકે મનાવવા નિર્ણય કરી ચુકી છે જ્યારે બીજી બાજુ ભાજપ કાળા નાણા વિરોધી દિવસ તરીકે આને ઉજવવા માટે તૈયારી કરી ચુકી છે.