અમદાવાદ શહેરમા આ વર્ષે ભારે વરસાદ બાદ તુટેલા કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ બાદ હાઈકોર્ટ દ્વારા અપનાવવામા આવેલા કડક વલણ બાદ મ્યુનિ.તંત્ર તરફથી શહેરના રસ્તાઓ ઉપર થીગડા મારી દેવામા આવ્યા છે ત્યાં બીજી તરફ તુટેલા રોડ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર ઈજનેરો સામે કાર્યવાહી કરવાના આપવામા આવેલા આદેશ મામલે મ્યુનિ.તંત્ર દ્વારા આચાર સંહિતાનુ બહાનુ આગળ ધરીને ઈજનેરોને બચાવી લેવાની પેરવી શરૂ કરવામા આવી હોવાનુ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,આ વર્ષે અમદાવાદ શહેરમા ચોમાસાની મોસમ દરમિયાન કુલ મળીને ૪૨ ઈંચ ઉપરાંત વરસાદ વરસવા પામ્યો હતો. એમા પણ જુલાઈ માસમા અમદાવાદ શહેરમા કુલ મળીને ૩૪ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.જેના પરિણામે અમદાવાદ શહેરના કુલ છ ઝોનમા મુખ્ય અને આંતરીક એમ મળીને કુલ ૨૦૨ કિલોમીટરના રસ્તાઓને ભારે નુકસાન થવા પામ્યુ હતુ.ખુદ શહેરના મ્યુનિસિપલ કમિશનરે પણ મ્યુનિ.બોર્ડ બેઠકમા સ્વીકાર કરવો પડ્યો હતો કે,અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા આવેલા ૮૦ ફૂટના રસ્તાઓ કે પછી ૪૦ ફૂટના રસ્તાઓ ઉપર કુલ મળીને ૪૫૦૦ જેટલા ખાડાઓ પડવા પામ્યા છે.એક તરફ તુટેલા રસ્તાઓ મામલે મ્યુનિસિપલ બોર્ડની મળેલી બેઠકમા શાસક પક્ષ ઉપર પડેલી વિપક્ષ અને તેમના જ પક્ષના કોર્પોરેટરો દ્વારા પાડવામા આવેલી પસ્તાળ અને બીજી તરફ હાઈકોર્ટના કડક આદેશ બાદ સોંપવામા આવેલી વિજિલન્સ તપાસના આવેલા વચગાળાના અહેવાલને પગલે ઓગસ્ટ માસમા અમદાવાદના મેયર ગૌતમ શાહે તુટેલા રસ્તાઓ મામલે ત્રણ કોન્ટ્રાકટરોને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામા આવ્યા હોવાની જાહેરાત કરવામા આવી હતી.આ સાથે કુલ સાત જેટલા કોન્ટ્રાકટરોને શો-કોઝ નોટીસ ફટકારવામા આવી છે.
પાછલી પોસ્ટ