શહેરના પૂર્વ વિસ્તારમાં જશોદાનગર પોલીસ ચોકીની સામે જ આવેલ જશોદાનગર સર્કલ પરના એકસીસ બેંકના એક એટીએમમાં તસ્કરો ત્રાટકયા હતા અને ગેસ કટરની મદદથી એટીએમ તોડી રૂ.૧.૨૧ લાખની બિન્દાસ્ત લૂંટ ચલાવી હતી. જો કે, આ સમગ્ર પ્રકરણમાં બનાવના બાર દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં અનેક તર્ક વિતર્ક અને સવાલ ચર્ચાઇ રહ્યા છે. તો બીજીબાજુ, હજુ સુધી પોલીસને લૂંટારાના કોઇ સગડ કે માહિતી પ્રાપ્ત થયા નથી. સૌથી વધુ ચોંકાવનારી અને આઘાતજનક વાત તો એ છે કે, એટીએમની સામે જ જશોદાનગર પોલીસ ચોકી આવેલી છે તો પોલીસ ત્યારે શું કરતી હતી તે સવાલ પણ લોકોમાં ચર્ચાની એરણે છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા.૧૩-૧૦-૨૦૧૭ના રોજ જશોદાનગર સર્કલ પર એક્સીસ બેંકના એક એટીએમમાં કેટલાક તસ્કરો ઘૂસ્યા હતા.
તસ્કરોએ સૌથી પહેલા એટીએમમાં મૂકેલી સર્વર રૂમની ચાવીથી દરવાજો ખોલીને ડીવીઆર મશીનના વાયરો કાપી નાંખ્યા હતા. ત્યારબાદ તસ્કરોએ ગેસ કટરની મદદથી એટીએમ મશીનના ત્રણ લેયર ધીરે ધીરે તોડયા હતા. તસ્કરોએ રૂ.૧૦૦ના દરની રૂ.૧.૨૧ લાખની નોટો કાઢી લીધી હતી. એટીએમમાં રૂ.૫૦૦ અને રૂ.૨૦૦૦ની નોટો પણ હતી પરંતુ એટીએમના લેયર તોડવામાં થયેલી વારને લીધે સવાર પડી ગઇ હતી અને તેથી રૂ.૫૦૦ અને રૂ.૨૦૦૦ના દરની નોટો લેવાનું તસ્કરોએ માંડી વાળ્યું હતુ અને રૂ.૧.૨૧ લાખની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે ચોરી ગયા હતા. જેથી પોલીસને તસ્કરોની ભાળ મેળવવામા મુશ્કેલી પડી રહી છે. જો કે, આ સમગ્ર પ્રકરણમાં ઘટનાના બાર દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં અનેક સવાલો જન્મ્યા છે, તો પોલીસ પણ પોલીસ ચોકીની સામિે લૂંટને અંજામ આપવામાં સફળ થયેલા લુંટારાઓને શોધવા દોડતી થઇ છે.