કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, ચીનના ડોકલામ વિવાદ દરમિયાન પડોશી દેશ ભારતની તાકાતને સમજી ગયું છે અને હવે બંને દેશો વચ્ચે કોઇપણ વિવાદ નથી. પોતાના સંસદીય ક્ષેત્ર લખનૌના પ્રવાસે આવેલા રાજનાથસિંહે કહ્યું હતું કે, ચીનની સાથે અમારા વિવાદને ઉકેલી લેવામાં આવ્યો છે. ચીનને ભારતની તાકાત હવે સમજાઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે, હાલમા ંજ સિક્કિમ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકોમાં બે મહિના સુધી સામ સામે ખેંચતાણની સ્થિતિ રહી હતી. ભારતના જિદ્દી વલણ બાદ આખરે ચીનને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન ભારતીય સરહદમાં ત્રાસવાદીઓને મોકલીને અસ્થિરતા ફેલાવવાના પ્રયાસમાં છે પરંતુ પાકિસ્તાનને સતત બોધપાઠ ભણાવવામાં આવી રહ્યો છે. દરરોજ પાકિસ્તાનના ૫-૬ ત્રાસવાદીઓ ઠાર થઇ રહ્યા છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારત હવે નબળા દેશ તરીકે નથી. વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારતમાં પહેલા એવા વડાપ્રધાન હવે આવ્યા છે જે વડાપ્રધાને એ નિર્ણય કર્યો છે કે, મોટી મોટી બેંકોના દરવાજા પર એન્ટ્રી કરવાના અને પ્રવેશ કરવાના અધિકાર માત્ર તાતા, બિરલા અને અંબાણીને જ નથી બલ્કે દેશના ગરીબ લોકોને પણ છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, ૨૦૨૨ સુધી ભારતમાંથી ગરીબીને સંપૂર્ણપણે નાબૂદ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર આ દિશામાં કામ પણ કરી રહી છે. ડોકલામ મુદ્દા ઉપર રાજનાથસિંહની આ પ્રતિક્રિયાને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે, ચીન સાથે હાલમાં જ વિવાદનો ઉકેલ આવ્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ