ગુજરાત રાજયની વિવિધ વિકાસલક્ષી અને રોજગારલક્ષી યોજનાઓના લાભ સીધા લાભાર્થીઓને મળી રહે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો – ૨૦૧૭ કે.જે.પોલીટેકનીક કોલેજ, ભરૂચ ખાતે સહકાર વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સંસદીય સચિવશ્રી બાબુભાઇ જે.પટેલ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ લિ.નાઉપાધ્યક્ષશ્રી સુરેશભાઇ મકવાણા, ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમનું દિપ પ્રગટાવીને ઉદધાટન કર્યા બાદ સમારંભના અધ્યક્ષસ્થાનેથી સહકાર વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ગરીબ પરિવારો સ્વાવલંબી અને સક્ષમ બન્યા છે. રાજ્ય સરકાર ધ્વારા ગરીબોને ઓશિયાળાપણાથી મુક્ત કરવા ગરીબ કલ્યાણ મેળાનો જનસેવાયજ્ઞ છેવાડાના માનવી સુધી પહોંચેલ છે.
મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દસ વર્ષ પહેલાં ગરીબો માટે સરાહનીય કામગીરી શરૂ કરી છે. ગરીબ કલ્યાણ મેળાથી ગરીબોના જીવનમાં બદલાવ આવ્યો છે તેમ જણાવી ઉમેર્યુ હતું કે, ગરીબકલ્યાણ મેળાથી વચેટીયાની પરંપરા નાબૂદ થઇ છે. ગરીબોના હક્કના નાણાં સીધા જ તેમના હાથમાં આપીને હજ્જારો ગરીબોને લાભ આપી આત્મનિર્ભર બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે રાજ્ય સરકાર ધ્વારા છેલ્લા નવ તબક્કાઓમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાની વિગતો આપતાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. તેમણે આજે મળેલ સાધનોનો સદઉપયોગ કરી ગરીબીમાંથી મુક્તિ મેળવી ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી બનવા લાભાર્થીઓને અનુરોધ ર્ક્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના ઉપાધ્યક્ષશ્રી સુરેશભાઇ મકવાણાએ સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના ગરીબોને હાથો હાથ મળે તે માટેનુ આયોજન આવા ગરીબ કલ્યાણ મેળા દ્વારા કરી રાજ્ય સરકારે ભગીરથ કાર્ય ર્ક્યુ છે. રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાનાં માનવી સુધી મળે તેવા પ્રયાસો ચાલુ છે. સરકારશ્રી દ્વારા ખેડુતલક્ષી ક્રુષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, સાગર ખેડુ યોજના, વનબંધુ યોજના અંતર્ગત આમ આદમીનું જીવન ધોરણ ઉંચુ લાવવામાં સરકારશ્રીને સફળતા મળેલ છે તેમ જણાવ્યું હતું.
ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલે ગરીબ કલ્યાણ મેળા થકી વચેટીયાનું રાજ કાઢી નાખીને સીધા ગરીબોના હાથમાં લાભ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગરીબોના આસું લુંછવાનું કામ ર્ક્યુ છે ત્યારે આજે જે સાધન – સહાય પ્રાપ્ત થાય તેનો સાચી દિશામાં ઉપયોગ કરી પગભર બનવા જણાવ્યું હતું.
વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાએ ગરીબ લાભાર્થી સાધન-સહાયથી વંચિત રહી ન જાય તેની ટકોર સાથે ગરીબ કલ્યાણ મેળાથી ગરીબોના ઘરમાં સુખ-સમૃધ્ધિમાં વધારો થયેલ છે. તેમણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પણ વિગતે જાણકારી આપી હતી.
લુવારાના ઇમ્તિયાઝભાઇ આદમભાઇ પટેલે તથા અણોરના ખેડૂત મિત્ર દિલિપસિંહ પઢિયારે પોતાના પ્રતિભાવમાં ગરીબ કલ્યાણ મેળા સહિત સરકારશ્રીની યોજનાઓને બિરદાવી હતી.
આજના આ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૨૫૮૫ લાભાર્થીઓને રૂા.૧૦૪.૭૩ લાખની સહાયનું વિતરણ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, સંસદીય સચિવશ્રી બાબુભાઇ જે.પટેલ તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે દિકરી યોજના, વિધાલક્ષ્મી યોજના, યુ.સી.ડી વિભાગની મિશન મંગલમ યોજના, જિલ્લા ઉધોગ કેન્દ્રની માનવ કલ્યાણ યોજના, વિકસતી જાતિ કલ્યાણ કચેરી, અનુસુચિત જાતિ કલ્યાણ કચેરી, તકેદારી અધિકારની કચેરી, માનવ ગરિમા યોજના, શ્રમ આયુકત કચેરી, મૃત્યુ સહાય યોજના તેમજ કલેકટર કચેરી હસ્તકની સંકટ મોચન યોજના સહિત અન્ય યોજના હેઠળના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા.
પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રેએ સ્વાગત પ્રવચન ર્ક્યુ હતું. બાળકો ધ્વારા સુંદર સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ થયા હતા. અંકલેશ્વરના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જલ્પાબહેન વટાણાવાલાની ટીમ ધ્વારા ‘‘હસતા હસતા સ્વચ્છતા” આધારિત નાટક રજૂ થયું હતું.
જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના આ મહાયજ્ઞમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ પટેલ, જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ, સબંધિત ખાતાના અધિકારીગણ, તથા જિલ્લાના લાભાર્થીઓ તેમજ વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.