વિરમગામના આનંદ મંદિર સ્કુલના સ્થાપક મનુભાઇ પટેલના ૯૦માં જન્મ દિવસની ૧૧મી ઓક્ટોબરે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને મનુદાદાના જન્મદિવસ પ્રસંગે વિરમગામમાં પુસ્તક પરબ (લાઇબ્રેરી)નો શુભારંભ વ્યાયામ શાળા, પરકોટા, વિરમગામ ખાતે કરવામાં આવ્યો હતો. આનંદ મંદિર સ્કુલથી વ્યાયામ શાળા સુધી વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક પરબ અંગે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. મનુદાદાના જન્મદિવસે શરૂ કરવામાં આવેલ પુસ્તક પરબ ના ઉદ્ઘાટન પ્રસંગે પુર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, કુંવરજી ઠાકોર, આનંદ મંદિર શાળા પરીવાર, વ્યાયામ શાળાના સંચાલકો, વિવિધ સામાજીક સંગઠનોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વિરમગામના આનંદ મંદિર સ્કુલના સ્થાપક મનુભાઇ પટેલના ૯૦માં જન્મ દિવસની ઉજવણી કરવા અંગે ગોકુલભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, વિરમગામના વિદ્યાર્થીઓ તથા નાગરીકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગી સંદર્ભ બુક, ધાર્મિક પુસ્તકો, મહાપુરૂષોના જીવન ચરિત્રો સહિત અનેક પુસ્તકો એક સાથે ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુથી આનંદ મંદિર સ્કુલના સ્થાપક મનુભાઇ પટેલના ૯૦માં જન્મ દિવસે વ્યાયામ શાળા, પરકોટા, વિરમગામ ખાતે પુસ્તક પરબ (લાઇબ્રેરી)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્ઞાનને કોઇ સીમાડા નડતા નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે પુસ્તક પરબ આશિર્વાદ રૂપ બનશે. પુસ્તક પરબમાં વિડીયો લાઇબ્રેરીનો પણ પ્રારંભ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે આનંદ મંદિર સ્કુલના સ્થાપક મનુભાઇ પટેલ શિક્ષણ ઉપરાંત વ્યાયામ ક્ષેત્રે અમુલ્ય સેવાઓ આપી રહ્યા છે. મેટ્રીકની પરીક્ષા પછી ઉત્તરસંડામાં અમરદાસની જગ્યામાં રણછોડજી મંદિરમાં સંન્યાસ લેવા માટે ગયા હતા. જ્યાં છ મહિના જેટલો સમય રોકાઇને તીવ્ર વૈરાગ્યના અભાવના કારણે ઘરે પરત ફર્યા હતા અને વિરમગામમાં ચાલતી રચનાત્મક સર્જનાત્મક પ્રવૃતિઓમાં જોડાયા હતા.
રિપોર્ટર :- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)