મોદી સરકાર ઉપર અર્થતંત્રના મામલે આક્ષેપો કરી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહાએ તેમની સામે પગલા લેવા આજે ભાજપને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, તેમને આની ચિંતા નથી. યશવંતસિંહાએ કહ્યું હતું કે, તેઓ પગલાથી ભયભીત નથી. પાર્ટી માટે મહત્વની વાત તેઓ કરી રહ્યા છે. તેમની સામે શિસ્તના પગલા ભાજપ લઇ શકે છે તે અંગે પૂછવામાં આવતા સિંહાએ કહ્યું હતુ ંકે, આને લઇને તેઓ બિલકુલ ચિંતિત નથી. કોંગ્રેસના નેતા મનિષ તિવારી દ્વારા લખવામાં આવેલા પુસ્તકના વિમોચન વેળા યશવંતસિંહાએ આ મુજબની વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તારુઢ થયા બાદથી અનેક સિનિયર નેતાઓની અવગણના થઇ રહી છે. હાલમાં જ મોદીએ પોતાના સંબોધનમાં સલ્ય અને દુર્યોધન તથા દુશાસન જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં પરોક્ષરીતે યશવંતસિંહા ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા. સિંહાઈ કહ્યું હતું કે, તેઓ એવા પ્રદેશમાંથી આવે છે જ્યાં ૧૮૫૭માં વિપ્લવ વેળા બાબુ કુંવરસિંહ લડાઈમાં જોડાયા હતા. સિંહાએ કહ્યું હતું કે લોકશાહી માટેની લડાઈમાં વય કોઇ અડચણરુપ નથી. દહેશત અને લોકશાહી એક સાથે ચાલી શકે તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સીટડાઉન ઇન્ડિયા જેવા પ્રોગ્રામ હતા પરંતુ અમે લોકશાહીના મુલ્યો માટે ઉભા થઇશું તો વધુ સાહસરીતે આગળ વધી શકીશું.
આગળની પોસ્ટ