મિશન અંત્યોદય યોજના અંતર્ગત મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ અવસરે ૨જી ઓક્ટોબર -૨૦૧૯ સુધીમાં વલસાડ જિલ્લાના ૮૦ ગામોને ગરીબી મુક્ત બનાવવામાં આવશે. આ મિશનના આયોજન અંગે જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ટાસ્કફોર્સ કમિટિની તેમજ તા.૧ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૧૭ દરમિયાન યોજાનાર ગ્રામ સમૃદ્ધિ અને સ્વચ્છતા પખવાડિયાના આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
બેઠકને સંબોધતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના ૮૦ ગામોને ગરીબી મુક્ત કરવા માટે આ વિસ્તારના લોકોનું જીવન ધોરણ ઊંચુ આવે, ગામમાં આરોગ્ય સેવાઓ મળે, ૧૦૦ ટકા શિક્ષણ, ઘર-ઘર શૌચાલય, રસ્તા, પાણી વગેરે પાયાકીય સુવિધાઓ રાજ્ય સરકારે નિયત કરેલા ધારાધોરણ મુજબ સમયમર્યાદામાં મળતી થાય તે પ્રકારનું આયોજન કરાશે. આ ઉપરાંત જો કોઇ સંસ્થા, ઔદ્યોગિક ગૃહો, એસોસીએશન, મંડળી, સુગર જો ગામને દત્તક લેવા માગતા હોય તે તે માટે પણ કરવાની થતી કાર્યવાહી સત્વરે કરવા જણાવ્યું હતું. ગ્રામ સમૃદ્ધિ અને સ્વચ્છતા પખવાડિયા દરમિયાન કરવાની થતી કામગીરી અંગે પણ ચર્ચા વિચારણા કરી દરેક અધિકારીઓએ તેમને લગતી કામગીરીને સંપૂર્ણ જાણકારી મેળવી તે અંગેનું સુચારુ આયોજન કરી દેવા જણાવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ મિશન અંત્યોદય અંગે જિલ્લામાં થયેલી તેમજ હવે પછી કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત તા.૧ થી ૧૫મી ઓક્ટોબર, ૨૦૧૭ દરમિયાન ગ્રામ સમૃધ્ધિ અને સ્વચ્છતા સપ્તાહ ઉજવણીના આયોજન અંગે સંબંધિત વિભાગોને કરવાની થતી કામગીરી બાબતે માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા, નિવાસી અધિક કલક્ટરશ્રી કમલેશ બોર્ડર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.સી.બાગુલ સહિત ટાસ્કફોર્સ કમિટિના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.