કેન્દ્ર સરકાર પાસે હવે સ્વચ્છ ભારત અભિયાન માટે ભંડોળ નથી, તેથી સરકારે તમામ કંપનીઓેને પત્ર લખી સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડનો ૭ ટકા હિસ્સો સ્વચ્છ ભારત ભંડોળમાં જમા કરાવવા સૂચન કર્યું છે. પહેલી વાર સરકારે સીએસઆરનો એક હિસ્સો સીધો સરકારી ભંડોળમાં જમા કરાવવા સૂચન કર્યું છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે તમામ કંપનીઓને પત્ર લખી સીએસઆર ફંડનો ૭ ટકા હિસ્સો સ્વચ્છ ભારત ભંડોળમાં જમા કરાવવાનાં સૂચનની સાથે સાથે કર્મચારીઓને સ્વચ્છતા અભિયાન ચલાવવાના આદેશ આપવા કંપનીઓને જણાવ્યું છે. મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ માત્ર સૂચન છે નિર્દેશ નહીં. અમે તમામ કંપનીઓને સ્વચ્છ ભારત ફંડમાં હિસ્સો આપવા કહ્યું છે, પરંતુ કંપનીઓ તેમની સ્વેચ્છાએ આ કામ કરી શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સ્વચ્છ ભારત અભિયાનમાં તેજી લાવવા માગે છે. લોકસભાની ચૂંટણી પહેલાં તે ટાર્ગેટ હાંસલ કરી લેવા માગે છે. ૨ ઓક્ટોબર ૨૦૧૪થી શરૂ થયેલાં અભિયાનમાં ૨૦૧૯ સુધીમાં દેશમાં ૧૧ કરોડ ટોઇલેટ બનાવવાનો ટાર્ગેટ છે, પરંતુ ૨૦૧૫માં ફક્ત ૪૯ લાખ ટોઇલેટ જ બની શક્યાં હતાં. ૨૦૧૬માં પણ આ અભિયાન સુસ્ત બની ગયું હતું. સરકાર ૨૦૧૭ અને ૨૦૧૮માં બે બે કરોડ ટોઇલેટ બનાવવા માગે છે જેથી ખુલ્લામાં શૌચક્રિયાને તિલાંજલિ આપી શકાય.સરકારે કોર્પોરેટ કંપનીઓને અપીલ કરી છે કે, તેઓ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામોને દત્તક લઈ સફાઈકામદારોને તાલીમ આપવામાં મદદ કરે. તે સાથે કંપનીઓ સામુદાયિક શૌચાલયોની જવાબદારી પણ સંભાળે.
આગળની પોસ્ટ