ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારે ખેંચતાણની સ્થિતિ રહ્યા બાદ સમાજવાદી પાર્ટીમાં પાવર ટસલનો દોર હજુ જારી રહ્યો છે. આ પાવરટસલના કારણે સમાજવાદી પાર્ટીએ ૨૦૧૭ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યો હતો. હવે ફરી એકવાર સમાજવાદી પાર્ટીમાં ખેંચતાણ દેખાઈ રહી છે. આના સંકેત મળવા લાગી રહ્યા છે. એકબાજુ સમાજવાદી પાર્ટીએ ૨૩મી સપ્ટેમ્બરના દિવસે લખનૌમાં બેઠક બોલાવી છે. આવી રીતે પાંચમી ઓક્ટોબરે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા પણ એક બેઠક બોલાવી છે. સપાએ રાજ્ય કોન્ફરન્સ બોલાવી છે જ્યારે અખિલેશે નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. મળેલી માહિતી મુજબ પક્ષ પ્રમુખ અને સ્થાપક મુલાયમસિંહ યાદવ પ્રથમ વખત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે બોલાવવામાં આવેલી પરિષદમાં ભાગ લઇ રહ્યા નથી પરંતુ બે દિવસ પહેલા જ મુલાયમસિંહ યાદવે ૨૧મી સપ્ટેમ્બરના દિવસે લોહિયા ટ્રસ્ટની એક મહત્વની બેઠક બોલાવી છે. રસપ્રદ બાબત એ છે કે, મુલાયમસિંહ યાદવ લોહિયા ટ્રસ્ટના ટ્રસ્ટી છે જ્યારે રામ ગોપાલ યાદવ ટ્રસ્ટ સેક્રેટરી તરીકે છે. આ ઉપરાંત લોહિયા ટ્રસ્ટમાં અન્ય ૧૧ ટ્રસ્ટીઓ રહેલા છે જેમાં પક્ષ પ્રમુખ અખિલેશ યાદવનો સમાવેશ થાય છે. અખિલેશ અને રામગોપાલ મુલાયમ દ્વારા બોલાવવામાં આવેલી છેલ્લી બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા.
આગળની પોસ્ટ