કાચા તેલની કિંમત સતત ઘટી રહી હોવા છતાં દેશમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર ૮૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સરકાર પણ વધી રહેલી કિંમતોને મુદ્દે મૂંઝવણ અનુભવી રહી છે. પેટ્રોલિયમપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતોના મુદ્દે હાથ અધ્ધર કરી દીધા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે જીએસટીથી કદાચ ભાવ અંકુશમાં આવી શકે.
તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે પેટ્રોલિયમને જીએસટી અંતર્ગત લાવવામાં આવે. રાજ્ય સરકારોને પણ નાણાપ્રધાન આ મુજબ કહી ચૂક્યા છે. પ્રધાનનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો તેનું પૂર્વઅનુમાન થઈ શકે છે. હાલમાં અલગ અલગ વેરા હોવાને કારણે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં મોટો તફાવત છે. જીએસટી કાઉન્સિલને વિનંતી કરવામાં આવી છે કે પેટ્રોલિયમને પણ જીએસટી હેઠળ લાવવામાં આવે. આમ થશે તો સરળતા રહેશે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોને મુદ્દે કોંગ્રેસે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની ભારે આલોચના કરી છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું હતું કે પેટ્રોલિયમ પ્રધાન જનતાને ગુમરાહ કરી રહ્યા છે. તેમને ખબર જ નથી કે પેટ્રોલના ભાવોને અંકુશમાં કઈ રીતે લાવી શકાય. ક્રૂડ તેલના ભાવ અડધોઅડધ ઘટી ગયા તો પણ દેશમાં પેટ્રોલના ભાવ શા માટે વધી રહ્યા છે? શું આ આર્થિક આતંકવાદ નથી?
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ