વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજો અબે,જાપાનના લેડી પી.એમ. સહિત અમદાવાદની મુલાકાતે આવી રહેલા ૧૦૦ જેટલા હાઈલેવલ ડેલિગેશનને ભવ્યાતિભવ્ય સત્કારવા અમદાવાદ શહેરના લોકોમા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.આ સાથે જ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પ્રથમ હાઈસ્પીડ બુલેટટ્રેન શરૂ કરવા માટેના પ્રોજેકટના ભુમિપુજન સહિત ગાંધીનગર ખાતે આયોજિત ઈન્ડો-જાપાન સમિટમાં ઉપસ્થિત રહેવા આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી,જાપાનના વડાપ્રધાન શીનજો અબે તેમના પત્ની અકી અબે તેમજ ૧૦૦ જેટલા ડેલિગેટસના ભવ્ય આદર સત્કાર માટે સરકાર, અમદાવાદ કલેકટર અને કોર્પોરેશનના તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામા આવી છે.આવતીકાલે બપોરે ૧.૩૦ ના સુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે આ પછી જાપાનના વડાપ્રધાન શીનજો અબે તેમના પત્ની તથા ૧૦૦ જેટલા ડેલિગેટસ બપોરે ૩.૩૦ના સુમારે અમદાવાદ આવી પહોંચશે જે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી,મંત્રીમંડળના સભ્યો દ્વારા તેમનુ સ્વાગત કરવામા આવ્યા બાદ ગાર્ડ ઓફ ઓનરના કાર્યક્રમ બાદ પરંપરાગત વાજિંત્રો દ્વારા સન્માન આપવામા આવ્યા બાદ બંને મહાનુભવોનો કાફલો અમદાવાદ એરપોર્ટથી નીકળી આરટીઓ સર્કલ પહોંચશે જ્યાંથી ગાંધીઆશ્રમ રવાના થશે.ગાંધી આશ્રમ ખાતે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ૩૦૦ જેટલી શાળાઓના બાળકો ખાસ જાપાનના પહેરવેશમાં જાપાનના વડાપ્રધાન શીનજો અબે,તેમના પત્ની અકી અબે અને અન્ય જાપાનના ડેલિગેટસનું ભવ્યાતિભવ્ય સન્માન કરશે.આ ઉપરાંત એરપોર્ટથી આરટીઓ સર્કલ સુધી આયોજિત રોડ શો દરમિયાન એક લાખ જેટલા લોકો આ બંને મહાનુભવો અને ડેલિગેટસના સન્માન માટે ઉમટી પડે એવી સંભાવના વ્યકત કરવામા આવી રહી છે. આ સાથે આવતીકાલથી અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવી રહેલા આ મહાનુભવોના આગમન અગાઉ તંત્ર દ્વારા તૈયારીઓ પુરી કરાઈ છે.
આગળની પોસ્ટ