સરકારે ૨૩ ઓગસ્ટે જેમ-જ્વેલરી સેક્ટરને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લાવવાની જાહેરાત કર્યા પછી સોનાનાં ઘરેણાંના વેચાણમાં લગભગ ૩૦-૫૦ ટકા ઘટાડો નોંધાયો છે.
મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રૂ.૫૦,૦૦૦ અને એથી વધુના કેશ ટ્રાન્ઝેક્શન માટે કેવાયસી જરૂરી બનશે. તેને લીધે વેપારીઓ અને ગ્રાહકોમાં ગભરાટ વધ્યો છે અને એટલે વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર કેવાયસીની મર્યાદા વધારીને રૂ.૨ લાખ નહીં કરવામાં આવે તો આગામી તહેવારોમાં વેચાણને ફટકો પડશે. ખાસ કરીને સંગઠિત ક્ષેત્રના જ્વેલર્સના વેચાણમાં ઘટાડો થવાની શક્યતા છે.ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, ઘણા જ્વેલર્સે અજાણ્યા લોકો અને નવા ગ્રાહકો સાથે બિઝનેસ બંધ કર્યો છે. કારણ કે કયા લોકો બ્લેક મનીમાંથી સોનું ખરીદે છે તે જાણવું મુશ્કેલ છે.વધુમાં માત્ર કેવાયસી લેવું પૂરતું નથી. ધારો કે, કોઈ ગ્રાહક રોજ રૂ.૫૦,૦૦૦થી ઓછી રકમનું સોનું રોકડમાં ખરીદે તો તે પણ મની લોન્ડરિંગ ગણાઈ શકે.