બળાત્કારના આરોપી ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને ૨૦ વર્ષની જેલની સજા મળ્યા બાદથી ડેરાના અનુયાયી પરેશાન છે, જેમણે પોતાની સંપતિ ડેરાને દાનમાં આપી હતી. રામ રહીની સજા જાહેર થયા બાદ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે ડેરાને દાનમાં આપવામાં આવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટે આદેશ આપ્યા છે.
સંપત્તિ દાન કરનાર કેટલાય કારણોથી પરેશાન છે. કેટલાય લોકો માટે કેસ ખૂબ જ જટિલ થઇ ગયો છે કારણ કે તેમની સંપત્તિનું પજેશન તેમની પાસે છે પરંતુ પ્રૉપર્ટીની માલિકીનો હક ડેરાને ટ્રાન્સફર થઇ ચૂક્યો છે. આ લોકો હજુ સુધી તે મકાનમાં જ નિવાસ કરી રહ્યા છે પરંતુ હાઇકોર્ટના ઑડર્સ તેમને બેઘર કરી શકે છે અને તેમની જમીન છીનવાઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડેરા પ્રમુખ રામ રહીમના આદેશ પર અનુયાયીઓએ પોતાની પ્રૉપર્ટી ડેરાને દાન કરી દીધી હતી અથવા ડેરા પાસે ગિરવે મૂકી હતી. સિરસાના એક નિવાસી દ્વારા હાંસલ કરવામાં આવેલા આરટીઆઇ ડૉક્યુમેન્ટ્સ અનુસાર, કેટલાય અનુયાયિઓ અને સાધુઓએ ડેરાને પોતાની સંપતિ દાન કરી દીધી હતી. વર્ષ ૨૦૦૨માં ડેરા સચ્ચા સોદા સાથે નાતો તોડનાર ગુરુદાસ સિંહ તૂરે કહ્યુ, સાધુઓની સંપતિ ડેરાને ટ્રાન્સફર કરવાનું કામ વર્ષ ૧૯૯૬માં શરૂ કરવામાં આવ્યું હતુ.
આ સંપત્તિઓની પાવર ઑફ એટૉર્ની ડેરા પ્રમુખ પાસે હતી. ત્યારબાદ, અનુયાયીઓ સાથે વધારે સમર્પણનો ભાવ રાખતા પોતાની સંપતિ ડેરાના નામે કરવા માટે કહેવામાં આવ્યું હતુ. એક ડેરા અનુયાયીએ નામ ન દર્શાવવાની શરતે કહ્યુ, અમે અમારું ઘર અને ખેતીની જમીન ડેરાને દાન કરી દીધી હતી. હવે કોર્ટના ઑર્ડર છે કે ડેરાની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવે, એવામાં અમારી પાસે કંઇ બચશે નહીં, અમે ખૂબ જ ચિંતિત છીએ. અમે ભક્તિભાવથી દાન કર્યું હતુ. લોકો કહે છે કે ’પિતાજી’ વિરુદ્ધ કેટલાય પુરાવા છે પરંતુ અમે તે પુરાવાઓ પર વિશ્વાસ નથી કરતા.
અમને લાગે છે કે કોર્ટે દાન કરવામાં આવેલી સંપત્તિ જપ્ત ન કરવી જોઇએ. તૂરનો આરોપ છે, વર્ષ ૨૦૦૮માં બીજા ૧૦૦ અનુયાયીઓએ પોતાની સંપત્તિ ડેરાને દાન કરી હતી. શક્ય છે કે ડેરા પ્રમુખે કેટલીય સંપત્તિ પોતાના પરિવારજનોના નામે ટ્રાન્સફર કરાવી લીધી હોય.
પહેલા ડેરા અનુયાયીઓના પ્રતિનિધિત્વ કરનાર મનસાના એક વકીલે જણાવ્યું કે હાલમાં તેમની પાસે કેટલાય ડેરા અનુયાયી પહોંચ્યા અને તેઓ ટૂંક સમયમાં કોર્ટમાં પ્રૉપર્ટી જપ્ત કરવાના ઑર્ડર વિરુદ્ધ અરજી દાખલ કરશે.