આસામમાં પુરના બીજા દોરમાં વિશ્વપ્રસિદ્ધ કાંઝીરંગા નેશનલ પાર્કમાં ૪૮૧ સ્કેવર કિલોમીટર વિસ્તાર પૈકી ૮૦ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે. સાત ગેંડા સહિત ૧૪૦ પ્રાણીઓના મોત થઇ ચુક્યા છે. ૧૦મી ઓગસ્ટ બાદથી સાત ગેંડા, ૧૨૨ હરણ, બે હાથીના પણ મોત થઇ ચુક્યા છે. અન્ય પ્રાણીઓના મોત પણ ચિંતા ઉપજાવે તેવી છે. અનેક રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. મળેલી માહિતી મુજબ વન્ય વિભાગ અને સુરક્ષા કર્મચારીઓ પ્રાણીઓને બચાવી લેવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં રહેલા પ્રાણીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં રહેલા પ્રાણીઓ નેશનલ હાઈવે ૩૭ની બંને બાજુએ ઉપલબ્ધ ખાદ્યાન્ન ચીજવસ્તુઓની શોધમાં ફરી રહ્યા છે. કેટલાક પ્રાણીઓ કારબીએંગલોંગ જિલ્લાના ઉંચાણવાળા વિસ્તારમાં પણ પહોંચી ગયા છે જ્યાં ચાના બગીચાઓ છે.