ગોરખપુરમાં ૩૦ કરતાં વધારે બાળકોના મોતના સમાચાર વિદેશી મીડિયામાં પણ છવાયા છે. વિશ્વભરના અગ્રણી મીડિયાએ આ સમાચારને ટોચનું સ્થાન આપ્યું છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે ભારતની આરોગ્ય સેવાની કંગાળ હાલતનો ઉલ્લેખ કર્યો છે.ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું હતું કે દર વર્ષે ઈન્સેફેલાઈટિસ ભારતમાં સામાન્ય ઘટના છે. ચોમાસામાં આ કારણે સેંકડો લોકો મૃત્યુ પામે છે. ગંદા પાણી અને ખોરાક સાથે મચ્છર કરડવાથી આ રોગ ફેલાય છે. તેનો ચેપ પણ ખુબ જ વેગવાન રીતે પ્રસરે છે. ભારત જીડીપીના માંડ એક ટકા ખર્ચ આરોગ્ય પાછળ કરે છે. આરોગ્ય પાછળ સૌથી ઓછો ખર્ચ કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.અલ જજીરાએ એક પીડિતાના નિવેદનને સ્થાન આપ્યું છે. નિવેદનમાં ગૌતમ નામની વ્યક્તિએ કહ્યું હતું કે અમારા બાળકનો શ્વાસ રૂંધાતો હોવાનું અમે જોતા હતા, પરંતુ કાંઈ કરી શકાય તેમ ન હતું. અલ જજીરાએ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફની ટિ્વટનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં કૈફે જણાવ્યું હતું કે ગોરખપુરમાં નિર્દોષ બાળકના મૃત્યુ ખુબ જ દુખદ છે. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આવી ઘટનાઓમાં બેદરકારી જ મુખ્ય કારણ હોય છે.અલ જજીરાના હાર્ડ ન્યૂઝના સંપાદક સંજય કપુરની ટિ્વટનો પણ ઉલ્લેખ કર્યો છે. આમાં બાળકોના મોતને સામુહિક હત્યા ગણાવવામાં આવી છે. સંજયકપુરે જણાવ્યું હતું કે ભારતમાં જાહેર આરોગ્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર પ્રવર્તે છે.પાકિસ્તાનના સમાચાર પત્ર ડોને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ટવિટ પ્રસિદ્ધ કરી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે બાળકોના મૃત્યુ માટે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર જવાબદાર છે.સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે ગોરખપુરની હોસ્પિટલમાં બાળકોના મોત વિશે લખ્યું હતું કે ઓક્સિજનના અભાવને લીધે છેલ્લાં છ દિવસમાં ઓછામાં ઓછા ૬૪ બાળકોના મોત થયા છે.