અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આશરે રૂ.૧૫૦ કરોડના ખર્ચે એક રેલવે ઓવરબ્રિજ અને એક ફલાય ઓવરબ્રિજ મળીને કુલ બે નવા બ્રિજ બનાવવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. આની સાથે શહેરમાં કુલ ૫૫ બ્રિજ ધમધમશે.
આજે સાંજે મળનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા આ બંને બ્રિજનાં નિર્માણની દરખાસ્ત મંજૂરી માટે મૂકાઈ હતી. જે પૈકી નારોલ-નરોડા રોડ પર વિરાટનગર જંકશન ઉપર ૫૦૭ મીટર લંબાઈનો અને બે બે લેન ધરાવતો સ્પ્લિટ ફલાય ઓવરબ્રિજ બનાવાશે. આ ફલાય ઓવર નીચે સ્પેસ ડેવપલપમેન્ટ પણ કરાશે. આ બ્રિજનાં નિર્માણ માટે અંદાજિત ભાવથી ૧૦.૩૦ ટકા વધુ ભાવના કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.ના રૂ.૪૫.૩૮ કરોડનાં ટેન્ડરને તેમ જ તેમાં બિટ્યુમિનના ભાવ તફાવત પેટે રૂ.૨.૦૬ કરોડની જોગવાઈ સહિત રૂ.૪૭.૪૪ કરોડની મર્યાદામાં કામ કરાવાશે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના પાસે ચેકિંગ તેમજ રૂ.૫૦.૬૦ કરોડના રિવાઈઝડ અંદાજને મંજૂરીની બાબતનો પણ આ દરખાસ્તમાં સમાવેશ કરાયો છે.આ ઉપરાંત અમદાવાદ-હિંમતનગર રેલવે લાઈન ઉપર નરોડા જીઆઈડીસી ક્રોસિંગ ખાતે અમદાવાદ-હિંમતનગર રોડ ઉપર ૭૭૫ મીટર લાંબો અને બે ત્રણ લેનના રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાશે.