બેંકના ખાતેદારને મિનિમન ડિપોઝિટને નામે સતત ખંખેરી રહેલી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોએ હવે ડિપોઝિટર્સ પાસેથી રિઝર્વ બેંકે જ બહાર પાડેલા રૂા. ૧૦ના સિક્કાનું સત્તાવાર ચલણ સ્વીકારવાનો ઇનકાર કરવા માંડયો છે. પરિણામે રૂા. ૧૦ના સિક્કા ખાતેદારો તેમની પોતાની પાસે જ રાખી મૂકવાની ફરજ પડી રહી છે. આમ રિઝર્વ બેંકે બહાર પાડેલા ચલણને બેંકો જ ન સ્વીકારતી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ છે અને ખાતેદારોની પરેશાની વધી ગઈ છે. આ જ રીતે રોકડમાં મોટી રકમ ભરનારાઓ પાસેથી રોકડ ગણી આપવાના ચાર્જ પણ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો વસૂલવા માંડી છે. આમ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો ખાતેદારને સતત લૂંટવાની પ્રવૃત્તિ કરી રહી છે. નાની ચલણી નોટ્સના બંડલ લઈને મોટી રકમ ભરવા આવનારાઓને પણ બેંકર્સ આ રીતે હેરાન કરીને તેમની પાસેથી વધારાની રકમ પડાવી રહ્યા છે. ડિપોઝિટર્સના સેવિંગ ખાતામાં રૂા. ૧૦૦૦થી માંડીને ૫૦૦૦ કે તેનાથીય વધુ મિનિમમ એવરેજ બેલેન્સ રાખવાને નામે તેનાથી ઓછું બેલેન્સ થાય તો તેમની પાસેથી મોટી રકમનો ચાર્જ બેંક વસૂલી લે છે.