આર્થિક સર્વેનો બીજો ભાગ આજે રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે, નોટબંધી બાદ જીડીપીનો વિકાસદર આંશિક વધ્યો છે. ૫.૪ લાખ નવા કરદાતા ઉમેરાઈ ગયા છે. નોટબંધીના પરિણામ સ્વરુપે સમયસર ડિવિડંડની ચુકવણી થઇ રહી છે. જો કે, આર્થિક સર્વેમાં કૃષિ લોન માફીને લઇને કેટલીક ચોક્કસ વાત કરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, કૃષિ લોન માફીથી અર્થતંત્રની માંગ જીડીપીના ૦.૭ ટકા સુધી ઘટી જશે. રાજ્ય કૃષિ લોન માફીનો આંકડો ૨.૭ લાખ કરોડ સુધી પહોંચી જશે. સ્ટોક લિમિટ, કૃષિ ચીજવસ્તુઓ ઉપર નિયંત્રણોને દૂર કરવાની જરૂર છે. પીએસયુ બેંકોની સરખામણીમાં પ્રાઇવેટ બેંક લોન ગ્રોથનો આંકડો ઝડપથી વધ્યો છે. આવાસ, ભાડા ભથ્થાના પરિણામ સ્વરુપે ફુગાવામાં ૪૦-૧૦૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો થયો છે. તેલ કિંમતો માટે પહેલા કરતા હવે ભૌગોલિક સ્થિતિ વધારે પડકારુપ બની ગઈ છે. વર્તમાન ખાતાકીય ખાધ વર્ષ ૨૦૧૬-૧૭માં જીડીપીના ૦.૭ ટકા થઇ છે. ભારતમાં ગ્રોસ એફડીઆઈ પ્રવાહનો આંકડો ૨૦૧૬-૧૭માં ૬૦.૨ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. નેટ એફડીઆઈ પ્રવાહનો આંકડો ૩૫.૬ અબજ ડોલર રહ્યો છે. પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તાનું સ્તર નીચું જઇ રહ્યું છે. માધ્યમિક શિક્ષણમાં નોંધણીના ટાર્ગેટને પહોંચી વળવા માટે ધ્યાન આપવાની જરૂર છે. અન્ડર એમ્પ્લોઇમેન્ટના ઉંચા સ્તર સુધી આગળ વધવાની જરૂર છે. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા મોનસુન સત્રના છેલ્લા દિવસે લોકસભામાં સર્વે રજૂ કરવામાં આવ્યો હતો.