Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં ફરી તેજી

અમદાવાદમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટના કામમાં ફરીથી તેજી આવી છે. રાજ્યમાં જંત્રીના નવા દર લાગુ થયા ત્યાર પછી થોડા સમય માટે રિડેવલપમેન્ટ કામકાજ અટકી ગયું હતું, પરંતુ હવે છેલ્લા ચાર મહિનામાં જૂની સોસાયટીને નવેસરથી ડેવલપ કરવા માટે કુલ 25 ડીલ થઈ છે. આ દરમિયાન ઘણી સોસાયટીઓ એવી છે જેમાં તમામ મેમ્બર્સ રિડેવલપમેન્ટ માટે તૈયાર નથી થયા જેના કારણે મામલો કોર્ટમાં ગયો છે.

લગભગ 25 રેસિડેન્શિયલ સોસાયટી એવી છે જ્યાં સભ્યો વચ્ચે કોઈ સર્વાનુમત થયો નથી. તેના કારણે આ ડીલનો ઝડપથી ઉકેલ લાવવા માટે ડેવલપર્સ ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે. એક્સપર્ટે જણાવ્યું કે અમુક ડેવલપર્સ આખેઆખું બાયઆઉટ કરવા માટે સોસાયટીના માલિકો સાથે વાતચીત કરી રહ્યા છે. અમદાવાદમાં હેલ્મેટ સર્કલ પાસે 4600 ચોરસ યાર્ડમાં આવેલા 10 બંગલોની સોસાયટીને રિડેવલપ કરવામાં આવશે. એસકેડી ડેવલપર્સ દ્વારા આ બંગલો સોસાયટી 50 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવી છે જેમાં દરેક બંગલોને પાંચ કરોડ રૂપિયા મળશે.

SKD ડેવલપર્સના ડિરેક્ટર કે ડી દેસાઈએ આ ડીલ થઈ હોવાની વાતને સમર્થન આપ્યું છે. પરંતુ તેમણે તેની સાઈઝ વિશે કંઈ જણાવ્યું નથી. તેમણે કહ્યું કે અમે અહીં 4 બીએચકેના 48 યુનિટ બનાવવાની યોજના ધરાવીએ છીએ કારણ કે હાલમાં આ એરિયામાં પ્રીમિયમ કેટેગરીના મકાનોની ડિમાન્ડ છે. અમે ત્રણ મહિનામાં જ આ ડીલ કરી છે.

કે ડી દેસાઈએ અમદાવાદમાં AEC ચાર રસ્તા પાસે પૂજન એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટ માટે એક MoU પણ કર્યા છે. આ ઉપરાંત વધુ 15,000 ચોરસ વારની જમીન પણ ડેવલપ કરવામાં આવશે. આ જગ્યા પર હાલમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને સ્પેસ હાજર છે.

CREDAI, અમદાવાદના પ્રેસિડન્ટ ધ્રુવ પટેલે જણાવ્યું કે “અમદાવાદમાં સોસાયટીઓના રિડેવલપમેન્ટની પુષ્કળ સંભાવના રહેલી છે. છેલ્લા ત્રણ મહિનામાં ઈન્કવાયરી અને ડીલની સંખ્યામાં મોટો વધારો થયો છે. તાજેતરમાં જંત્રીના દરમાં વધારો થયા પછી ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ (એફએસઆઈ)ની પરચેઝ પ્રાઈસ ઘણી વધી ગઈ હતી. તેના કારણે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ નાણાકીય રીતે નુકસાનકારક બની ગયા હતા. પરિણામે 90 ટકા જેટલી ડીલ રદ કરવામાં આવી હતી.”

અર્બન રિડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસિયેશનના પ્રેસિડન્ટ જિતેન્દ્ર શાહે જણાવ્યું કે, “જંત્રીના નવા દર આવ્યા પછી ઘણી ડીલ અટકી ગઈ હતી. પરંતુ ગયા વર્ષમાં અમદાવાદમાં રિડેવલપમેન્ટની લગભગ 60 ડીલ થઈ હતી. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 50 સોદા થયા છે તેમાં રિવાઈઝ્ડ ઓફર કરવામાં આવી છે.”

તેમણે કહ્યું કે, “અમદાવાદમાં ઓછામાં ઓછી 500 સોસાયટીઓ રિડેવલપમેન્ટ માટે વાતચીત કરી રહી છે. અમને લાગે છે કે સરકારે સોસાયટીઓના રિડેવલપમેન્ટ માટે નિયમો બહાર પાડવા જોઈએ કારણ કે ઘણી વખત સોસાયટીના તમામ મેમ્બર વચ્ચે સહમતી સાધી શકાતી નથી અને તેના કારણે મામલો કોર્ટમાં જાય છે.”

ક્રેડાઈ, અમદાવાદના વાઈસ પ્રેસિડન્ટ વિરલ શાહે જણાવ્યું કે, “ચાલુ વર્ષમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના લગભગ 10 રિડેવલપમેન્ટ સોદા થયા છે. અમે એક હાઉસિંગ બોર્ડની સ્કીમને રિડેવલપ કરી રહ્યા છીએ જેમાં 120 યુનિટ છે. રિડેવલપમેન્ટ પછી તેમાં 320 યુનિટ્સ હશે.”

Related posts

ફલાવર શોની તારીખને લંબાવાઈ

aapnugujarat

૨૪ ડિસેમ્બરે નર્મદા જિલ્લામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

aapnugujarat

શંકરસિંહે ત્રીજો મોરચો ખોલી જાત સાથે દગો કર્યો : ગહેલોત

aapnugujarat
UA-96247877-1