તુર્કીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલાં ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. બે કાર સામ સામે અથડતા આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગુજરાતના બનાસકાંઠામાં રહેતા ચારેય વિદ્યાર્થીઓનાં (Four Student Killed) કરુણ મોત નીપજ્યા હતા. જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા હતા. એક સાથે ચારેય વિદ્યાર્થીઓનાં કરુણ મોત થતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બનાસકાંઠામાં રહેતા ચાર વિદ્યાર્થીઓ તુર્કી ખાતે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે ગયા હતા. તેઓ અહીં રહીને જ અભ્યાસ કરતા હતા. ચારેય ગુજરાતી વિદ્યાર્થીઓ રજા હોવાથી ફરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન બે કાર સામ સામે અથડાઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો ખુડદો બોલી ગયો હતો. ચારેય વિદ્યાર્થીઓ કાળનો કોળિયો બની ગયા હતા.
બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ચારેય મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતકોના નામ અંજલી મકવાણા, પ્રતાપ કારાવદરા, જયેશ અગાથ અને હીના પાઠક છે. તુર્કીના કિરેનીયા નજીક તેમની કારને આ ભયંકર અકસ્માત નડ્યો હતો. આ ઘટના બાદ તેમના પરિવારમાં ભારે શોક છવાયો છે અને સમગ્ર વિસ્તારમાં પણ માતમ છવાયો છે. એક સાથે ચારેય વિદ્યાર્થીઓનાં મોત થતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. ત્યારે આ વિદ્યાર્થીઓને જલ્દીથી ભારત લાવવામાં આવે એવી માગ કરવામાં આવી છે.