પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઘણી મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી અલ કાદિર કેસ સહિત બધા કેસોમાં બે સપ્તાહ માટે જામીન મળી ગયા છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, 17 મે સુધી ઈમરાન ખાનની કોઈપણ નવા કેસમાં ધરપકડ નહીં થાય. આ પહેલા ઈમરાને પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે ખુલ્લેઆમ ચેતવણી આપી હતી. ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનના સેના પ્રમુખ મારથી ડરે છે. દેશભરમાં હિંસા માટે જનરલ મુનીર જવાબદાર છે. તેમણે કહ્યું કે, આ ધરપકડ નહીં, પરંતુ અપહરણ છે. ઈમરાન ખાને શુક્રવારે ચેતવણી આપી કે, જો તેમની ફરીથી ધરપકડ કરાશે તો દેશભરમાં તબાહી આવશે.
કોર્ટના આ ચુકાદા બાદ પીએમ શહબાઝ શરીફે કેબિનેટની બેઠક કરી હતી અને દેશની સ્થિતિ અંગે ચર્ચા કરી. કેબિનેટ બેઠકમાં દેશમાં ઈમર્જન્સી લાગુ કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી. ઈમરાન ખાનના સમર્થકોએ કરેલી ભારે હિંસા બાદ પીટીઆઈ નેતાનો ઉત્સાહ ઘણો વધી ગયેલો જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાનના ન્યૂઝ પેપર ડોનના અહેવાલ મુજબ, ઈમરાન ખાન સામેના કેસોની તપાસ કરી રહેલી સંયુક્ત ટીમે ઈસ્લામાબાદ હાઈકોર્ટને જણાવ્યું છે કે, તે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ખાનની ધરપકડ કરવા માગે છે. ગત વર્ષે એપ્રિલમાં સત્તામાં હટાવાયેલા ખાનની સામે દેશદ્રોહ, ઈશનિંદા, હિંસા ભડકાવવી અને આંતકવાદ સહિત 121 કેસ દેશના અલગ-અલગ ભાગોમાં નોંધાયા છે. ઈમરાન સામે આતંકવાદના 12 કેસ એકલા લાહોરમાં નોંધાયેલા છે, જ્યારે 14 અન્ય કેસ ફૈસલાબાદમાં નોંધાયા છે.