ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીં તાપમાન પણ સામાન્ય કરતા પણ ઓછું રહી શકે છે. 3500 મીટર કે એનાથી વધારે ઉંચાઈવાળા વિસ્તારમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. તો આગામી 9 મે સુધી અહીં હવામાન આ પ્રકારનું રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી અને મહતમ તાપમાન 20 ડિગ્રી સુધી રહી શકે છે. બીજી તરફ, ખરાબ હવામાનના કારણે કેદારનાથ ધામ માટે આગામી 8 મે સુધી રજિસ્ટ્રેશન પર રોક લગાવી દેવામાં આવી છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ અને બાગેશ્વરમાં હળવો વરસાદ પડે એવી શક્યતા છે. મેદાની અને નીંચાણવાળા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. ખરાબ હવામાનના કારણે ઉત્તરાખંડમાં ગ્લેશિયલ તૂટવા અને હાઈવે બંધ થઈ જવા જેવી ઘટનાઓ પણ બની રહી છે. તો ચારધામ યાત્રા દરમિયાન યાત્રાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો ચારધામ યાત્રા માટે પહોંચ્યા છે. ત્યારે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
ઉત્તરાખં સરકારના જણાવ્યા મુજબ, આગામી ત્રણથી ચાર દિવસ સુધી કેદારનાથ ઘાટીમાં હવામાન ખરાબ રહે એવી શક્યતા છે. ત્યારે આવી સ્થિતિમાં કેદારનાથ ધામ માટે રજિસ્ટ્રેશન આગામી 8 મે સુધી રોકી દેવામાં આવ્યું છે. ચાર મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. ગુરુવારની સવારે 9 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં 9533 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ મોકલવામાં આવ્યા હતા. આ પહેલાં કેદારનાથ ધામના પગપાળા રસ્તા પર આવેલા ભૈરવ ગદેરામાં ફરી એકવાર ગ્લેશિયર તૂટતાં અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.
આ ગ્લેશિયલ તૂટ્યા બાદ પગપાળા રસ્તા પર મોટી સંખ્યામાં બરફ જામ થયો હતો. આ દરમિયાન એક પણ યાત્રી કે ઘોડા-ખચ્ચર જોવા મળ્યા નહોતા. બુધવારે અહીં એનડીઆરએફની ટીમે બરફ હટાવ્યો હતો અને રસ્તો સાફ કર્યો હતો. ગુરુવારના રોજ પણ અહીં ગ્લેશિયર તૂટ્યો હતો. મહત્વનું છે કે, ગઈ 25 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. ત્યારથી સતત અહીં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. ખરાબ હવામાનના કારણે સરકાર વારંવાર યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન રોકી રહી છે.