ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સપ્ટેમ્બર 2022થી ક્રિકેટના મેદાનથી દૂર છે. કમરમાં થયેલી ઈજાના કારણે તે લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શક્યો નથી. પહેલા તેવી અટકળો હતી કે જે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સુધીમાં પૂરી રીતે સ્વસ્થ થઈ જશે. પરંતુ તેમ થયું નહીં. ત્યારબાદ તેવું કહેવામાં આવતું હતું કે આઈપીએલ 2023 (IPL 2023) શરૂ થતાં પહેલા તો તે રિકવર કરી લેશે. પરંતુ જે લેટેસ્ટ ખબર સામે આવે આવી છે, તે સાંભળીને ન તો ભારતીય ટીમ ખુશ થશે કે ન તો મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians). મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જસપ્રીત બુમરાહનું આઈપીએલ 2023 સુધીમાં ફિટ થવું મુશ્કેલ છે.
ખબર તેવી પણ છે કે, જૂનમાં યોજાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023ના ફાઈનલ સુધી પણ જસપ્રીત બુમરાહ ફિટ થઈ શકશે નહીં. જે ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે ચિંતાનો વિષય છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, બુમરાહની ઈજા શરૂઆતમાં જેવી વિચારવામાં આવી રહી હતી તેનાથી ઘણી ગંભીર છે.
રિપોર્ટ્સમાં ઉમેરવામાં આવ્યું છે કે, ભારતીય મેનેજમેન્ટ હવે જસપ્રીત બુમરાહને ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડકપ પહેલા ફિટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કારણ કે, તે ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. ભારતે જો વર્લ્ડકપ જીતવો હશે તો અન્ય ખેલાડીઓની સાથે-સાથે બુમરાહની હાજરી પણ મહત્વની રહેશે.
ગત વર્ષે ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ બુમરાહે 25 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે ટી20 મેચમાં કમબેક કર્યું હતું. પરંતુ તેની ઈજાની પરેશાની ફરી વધી ગઈ હતી. વર્ષની શરૂઆતમાં તેનું નામ શ્રીલંકા સામેની લિમિટેડ ઓવરની સીરિઝમાં રાખવામાં આવ્યું હતું, જે બાદમાં હટાવી દેવાયું હતું.
બુમરાહના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો, તે ભારત માટે 30 ટેસ્ટ, 72 વનડે અને 60 ટી20 મેચ રમ્યો છે. જેમાંથી જેણે ક્રમશઃ 128,121 અને 70 વિકેટ લીધી છે. તો આઈપીએલના કરિયરમાં બુમરાહ 120 મેચ રમ્યો છે અને 145 વિકેટ લીધી છે