Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણી નજીક છે, પણ સરકારી કર્મચારીમંડળો પોતાની માગણીને લઈને આંદોલનો શરૂ કરી દીધાં

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેને લઈને સરકારી કર્મચારીમંડળોએ પોતાની માગણીને લઈને આંદોલનો શરૂ કરી દીધાં છે. બીજી બાજુ, ચૂંટણી ટાણે જ શરૂ થયેલાં આંદોલન ડામવા સરકારે પાંચ મંત્રીની કમિટી બનાવીને તેમને જવાબદારી સોંપી છે, પરંતુ કર્મચારીમંડળો સરકારના મંત્રીઓની વાત સાંભળવા જ તૈયાર નથી. સરકારી કર્મચારીઓને મંત્રીઓ બે હાથ જોડીને મનાવવા મથી રહ્યા છે. તેમ છતાં તેઓ સાથે કર્મચારીઓ વાત કરવા તૈયાર નથી. કર્મચારીમંડળોએ એવું કડક વલણ અપનાવ્યું છે કે મૌખિક નહીં, લેખિતમાં આમંત્રણ અપાશે તો જ સરકાર સાથે વાતચીત થશે. હાલ રાજ્યમાં વનરક્ષક, તલાટી, પંચાયત સંવર્ગ આરોગ્યકર્મચારી સહિત મોટા ભાગના સરકારી કર્મચારીમંડળોએ સરકાર સામે આંદોલન શરૂ કરીને મોરચો માંડ્યો છે. સરકારી કર્મચારી મહામંડળે આપેલા એલાન મુજબ, હવે ૧૧મીએ રાજ્યમાં ઝોન પ્રમાણે રેલી યોજીને સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે. રાજ્યમાં ચૂંટણી ટાણે આંદોલનો ધમધમી રહ્યાં છે. તેમ છતાંય મંત્રીઓની કમિટી કોઈ નિકાલ લાવી શકી નથી. સરકારી કર્મચારીમંડળો નક્કી કરીને બેઠાં છે કે સરકારના વાયદા વચન નહીં, પણ લેખિત ખાતરી આપવામાં આવે તો જ આંદોલન પૂર્ણ થશે. મંત્રીઓ મળતિયાઓને બોલાવીને આંદોલન ઠારવાનો ડોળ કરી રહ્યા છે. વાસ્તવમાં એકેય કર્મચારીમંડળના પ્રતિનિધિ મંત્રીઓ સાથે ચર્ચા કરવા ગયા નથી, પણ કર્મચારીમંડળોમાં ફાટફૂટ પડાવી આંદોલનને થાળે પાડવા મથામણ થઈ રહી છે. જ્યાં સુધી સરકાર લેખિતમાં આમંત્રણ નહીં આપે ત્યાં સુધી ચર્ચા કરવામાં નહીં આવે. બીજી તરફ, સરકાર માટે મૂંઝવણ એ ઊભી થઈ છે કે તમામ સરકારી મંડળોની માગો સ્વીકારાય તો સરકારી તિજોરી પર કરોડોનો બોજો પડી શકે છે. જે હાલમાં સરકારને પોષાય એમ નથી.આ સંદર્ભે સરકારી વર્તુળો કહી રહ્યાં છે કે ઉદ્યોગોની માગણીઓ સ્વીકારીને લહાણી કરવામાં આવે છે. જ્યારે સરકારી કર્મચારીઓ માટે ઘરના છોકરા ઘંટી ચાટે જેવી સ્થિતિ છે. કર્મચારીઓમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જો સરકાર પ્રશ્નો હલ નહીં કરે તો કર્મચારીઓ દિલ્હી જંતરમંતર પર દેખાવો કરશે. એટલું જ નહીં, આંદોલનને વધુ વેગવંતું બનાવાશે. પાટનગરમાં ખેડૂતો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી, વનરક્ષકો ઉપરાંત તલાટી અને પંચાયતના વિલેજ કમ્પ્લેયર સહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવીને આંદોલનના મંડાણ કર્યા છે. ખેડૂતોએ તો સમાન વીજદર સહિતના પ્રશ્નો ન ઉકેલાતાં હવે મુખ્યમંત્રી અને મંત્રીઓના બંગલાની બહાર ધરણાંનું આયોજન કર્યું છે. ત્યારે ચારેતરફ આ ધમધમતા આંદોલનની આગને ઠારવા માટે ભાજપે જિતુ વાઘાણી સહિતના પાંચ મંત્રીની કમિટી તો રચી, પરંતુ આમ છતાં આ આંદોલનનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ચૂંટણી નજીક છે અને ભાજપ આ ચૂંટણીમાં કોઈપણ કસર છોડવા નથી માગતો અને આ વખતે પડકાર માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી પણ છે, જે હાલમાં એક બાદ એક ગેરંટી આપીને જનતાને રીઝવવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. ત્યારે આ સ્થિતિમાં ભાજપ માટે જનતાનું હિત જળવાઈ રહે એ જરુરી છે, માટે જ પાટનગરમાં ધૂણી ધખાવીને બેઠેલા આંદોલનકારીઓ સાથે હવે સરકાર વાટાઘાટો માટે તૈયાર થઈ છે. ત્યારે એ જોવું રસપ્રદ બનશે કે સરકાર આ આંદોલનને ઠારવામાં સફળ રહેશે? શું સરકાર આ આંદોલનના પ્રતિનિધિઓને મનાવી શકશે?

Related posts

ટ્રાફિક હળવો કરવા ૩૦ મોટા શહેરોમાં ૨,૮૬૪ સિટી બસો દોડાવાશે : નિતિન પટેલ

aapnugujarat

गुजरात के एक बिल्डर ने कश्मीर में जमीन खरीदने को लेकर पीएम मोदी को लिखा पत्र

aapnugujarat

અમદાવાદ મેટ્રોના સ્ટેશન પરના એસ્કેલેટર્સ-લિફ્ટ બંધ રાખવા નિર્ણય લેવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1