જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોંગ્રેસના આશરે ૬૪ વરિષ્ઠ નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં મંગળવારે પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા છે. આ નેતાઓએ પોતાનો સંયુક્ત રાજીનામાનો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધો છે.
પત્રકાર પરિષદમાં તારાચંદ, પૂર્વ મંત્રી અબ્દુલ માજિદ વાની, મનોહર લાલ શર્મા, ધરૂ રામ અને પૂર્વ ધારાસભ્ય બલવાન સિંહ સહિત અન્ય નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી દીધો છે. આઝાદ પાર્ટી સાથે પાંચ દાયકાથી જોડાયેલા હતા. બલવાન સિંહે પત્રકાર પરિષદમાં રાજીનામા પત્રને વાંચતા કહ્યું, અમે દાયકાઓથી પાર્ટી સાથે જોડાયેલા હતા અને પોતાની ઉર્જા અને સંસાધન જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીનો વિસ્તાર કરવામાં લગાવ્યા, પરંતુ દુર્ભાગ્યથી અમને ખબર પડી કે જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે અપમાનજનક છે.
આ પત્ર પર કોંગ્રેસના જમ્મુ-કાશ્મીર એકમના ૬૪ નેતાઓ અને વરિષ્ઠ પદાધિકારીઓએ હસ્તાક્ષર કર્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે, અમારા નેતા અને પથપ્રદર્શક ગુલામ નબી આઝાદે તમને (સોનિયા ગાંધીને) લખેલા પત્રમાં મુદ્દાને ગણઆવતા પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. અમારૂ માનવુ છે કે અમારે પણ કોંગ્રેસ છોડી દેવી જોઈએ જેથી એક સકારાત્મક રાજકીય સમાજ નિર્મિત કરવામાં કેટલુક ઉપયોગી યોગદાન આપી શકીએ, જ્યાં લોકોની વાત સાંભળવામાં આવે અને જવાબ પણ આપવામાં આવે. આઝાદે જાહેરાત કરી હતી કે તે જલદી જમ્મુ-કાશ્મીરમાં એક પાર્ટીની રચના કરશે, જે રાષ્ટ્રીય સ્તરની હશે. પાર્ટીના નેતાઓએ પોતાના પત્રમાં કહ્યું- અમે બધા ગુલામ નબી આઝાદનું સમર્થન કરીએ છીએ અને જમ્મુ-કાશ્મીરના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની સાથે રહીશું.
બલવાન સિંહે દાવો કર્યો કે એક ચૂંટાયેલી સરકારની ગેરહાજરીમાં જમ્મુ-કાશ્મીર અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આઝાદની અહીંથી રાષ્ટ્રીય પાર્ટીની રચના કરવાના નિર્ણયથી તમામ વસ્તુને ઠીક કરવાની પ્રેરણા મળશે. તેમણે કહ્યું, અમને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીર એકવાર ફરી આઝાદના નેતૃત્વમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કરવામાં સફળ થશે.
આગળની પોસ્ટ