કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ૧૭ ઓક્ટોબરે યોજાશે. તે માટે ૨૨ સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે, ૨૪ સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે. ૧૭ ઓક્ટોબરે મતદાન થશે અને ૧૯ ઓક્ટોબરે ગણતરી બાદ પરિણામ સામે આવશે. વર્કિંગ કમિટીની મહોર બાદ આ તારીખોની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી જોડાયા હતા.
આ સિવાય બેઠકમાં હરિશ રાવત, સલમાન ખુર્શીદ, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કુમારી શૈલજા, મધુસૂદન મિસ્ત્રી, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, અજય માકન, અભિષેક મનુ સિંઘવી સહિત ઘણા કોંગ્રેસી નેતા હાજર રહ્યા હતા.
પાર્ટીથી નાચાર ચાલી રહેલા આનંદ શર્મા પણ સીડબ્લ્યૂસીની બેઠકમાં હાજર રહ્યા હતા. આનંદ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ સાથે શનિવારે મુલાકાત કરી હતી. સૂત્ર અનુસાર વર્કિંગ કમિટીની બેઠકમાં ઘણા નેતાઓએ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સંભાળવા માટે કહ્યુ છે.
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ૭ સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરવાની છે. ૧૪૮ દિવસીય આ યાત્રાનું સમાપન કાશ્મીરમાં થશે. પાંચ મહિનાની આ યાત્રા ૩૫૦૦ કિલોમીટર અને ૧૨ કરતા વધુ રાજ્યોમાંથી પસાર થશે. પદયાત્રા દરરોજ ૨૫ કિલોમીટરનું અંતર કાપશે. તેમાં પદયાત્રા, રેલીઓ અને જનસભાઓ સામેલ હશે, જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા પણ સામેલ થશે.