કોંગ્રેસ અને દલિત નેતા, ગુજરાત વિધાનસભામાં સભ્ય એવા જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે બુધવારે મધરાતે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર મેવાણી પાલનપુર ખાતે સર્કિટ હાઉસમાં રોકાયા હતા ત્યારે આસામ પોલીસે તેની અટકાયત કરી છે, જિગ્નેશ મેવાણીને ગુવાહાટી લઈ જવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. મેવાણીના સમર્થકોએ જણાવ્યું હતું કે, તેમણે કયા કારણોસર કે કઈ ફરિયાદને આધારે પકડવામાં આવ્યા છે તે અંગે કોઇ માહિતી મળી નથી. આસામ પોલીસ દ્વારા આ બાબતે કોઈ ફરિયાદ કે કાગળ મેવાણીના સમર્થકોને આપવામાં આવ્યા નથી.
પરંતુ, સોશિયલ મીડિયા ઉપર આસામ ખાતે કરવામાં આવેલી એક ફરિયાદ વાયરલ થઈ છે. આ ફરિયાદમાં 18 એપ્રિલના રોજ જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાનને સંબોધન કરી એક મેસેજ કર્યો હતો. ફરિયાદીનું એવું માનવું છે કે આ પ્રકારના ટ્વીટથી સમાજમાં એખલાસ ડહોળાય છે અને તેને કારણે ટ્વીટ કરનાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મેવાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.
મળતી માહિતી અનુસાર જિગ્નેશ મેવાણી સતત સોશિયલ મીડિયા પર તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે ફરી એક વખત વડાપ્રધાનને સંબોધન કરીને એક મેસેજ કરતાં કોઈને માઠું લાગી આવ્યું હતું. અને આ પ્રકારના કોઈ નિવેદન, ટિપ્પણી કે ટીકાના કેસમાં મેવાણી વિરુદ્ધ આસામમાં ફરિયાદ થઈ હોવાની શક્યતા છે, એવું માલૂમ પડ્યું છે.