દેશનાં ૮૧ કરોડ ગરીબ લોકોને સરકાર દ્વારા ૨૦૧૮ સુધી રૂપિયા ૨ કિલોના ભાવે ઘઉં અને રૂપિયા ૩ કિલોનાં ભાવે ચોખા આપવાનું ચાલુ રાખવામાં આવશે.
કેન્દ્રના અન્ન અને ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને લોકસભામાં આ માહિતી આપી હતી.તેમણે કહ્યું હતું કે, ૨૦૧૮ સુધી ચાલુ રખાશે. આ સ્કીમમાં લોકોને ૧ રૂપિયે કિલોનાં ભાવે જાડુ ધાન્ય આપવામાં આવે છે. પાસવાને કહ્યું કે દેશમાં કોઈપણ વ્યક્તિ ભૂખે ન મરે તેની જવાબદારી રાજ્ય સરકારોની છે. સ્કીમનો યોગ્ય અમલ કરવા સરકાર તમામ પગલાં લઈ રહી છે.
દેશમાં અનાજનાં સંગ્રહ માટેની ક્ષમતા વધારવા પ્રાઈવેટ એન્ટરપ્રિન્યોર ગેરંટી સ્કીમ શરૂ કરવામાં આવી હતી જેમાં ખાનગી ઉદ્યોગ સાહસિકોને ગોડાઉનો બાંધવા પરવાનગી અપાઈ હતી. જે લોકો ગોડાઉન બાંધે તેને ૧૦ વર્ષ માટે ભાડે લેવાની તેમાં જોગવાઈ હતી. દરેક રાજ્યોમાં ક્યાં કયા કેટલી ક્ષમતાનાં ગોડાઉનો બાંધવા તે એફસીઆઈનાં ચેરમેન અને એમડીના વડપણ હેઠળની સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે મનરેગા હેઠળ રોજગારી મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી. અત્યાર સુધીમાં ૯ કરોડ લોકોને આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યા છે અને ૫ કરોડનાં આધાર યુનિક નંબરને તેમનાં બેન્ક ખાતાઓ સાથે જોડવામાં આવ્યા છે. આ સ્કીમ હેઠળ ૧૨ કરોડ લોકો જોબ કાર્ડ ધરાવે છે જેમાંથી ૧૦.૫ કરોડને સક્રિય કામદારો ગણવામાં આવ્યા છે. આમાંથી ૫.૫ કરોડ લોકો ખરેખર કામકાજ અને રોજગારી સાથે જોડાયેલા છે.