રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે જનતા દળ યૂનાઈટેડના વરિષ્ઠ નેતા શરદ યાદવને સાથે મળીને લડવાની અપીલ કરી છે. આરજેડી અધ્યક્ષે ટિ્વટ કરીને કહ્યું છે કે ગરીબ, વંછિત અને ઉપેક્ષિત જમાતના હક માટે થઈને અમે વૈચારિક રીતે બધા સહયોગીઓને સાથે લઈને ખેતરોથી લઈને રસ્તાઓ અને સંસદ સુધી સંઘર્ષ કરીશું. અન્ય એક ટિ્વટમાં તેમણે એમ પણ કહ્યું છે કે અમે અને શરદ યાદવજીએ સાથે લાકડીનો માર ખાધો છે, સંઘર્ષ કર્યો છે. આજે દેશને ફરી સંઘર્ષની જરૂર છે. શોષિત અને ઉત્પીડીત વર્ગો માટે આપણે લડવું પડશે. ગરીબ, વંછિત અને ખેડૂતોને સંકટમાંથી બહાર કાઢવા માટે અમે નવું આંદોલન શરૂ કરીશું. શરદભાઈ, આવો બધા મળીને દક્ષિણપંથી તાનાશાહીને નેસ્તનાબૂદ કરીએ.બિહારમાં સત્તામાં ઉથલપાથલ વચ્ચે સત્તારૂઢ જેડીયુના વરિષ્ઠ નેતા શરદ યાદવ મૌન ધારણ કરીને બેઠા છે. કહેવાય છે કે તેઓ નીતિશકુમારના મહા ગઠબંધનમાંથી એનડીએમાં જવાના કારણે નારાજ છે. જો કે આ સમગ્ર ઘટનાક્રમ અંગે શરદ યાદવે હજુ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. લાલુપ્રસાદે ઉપરાઉપરી ટિ્વટ કરીને શરદ યાદવને પોતાના પક્ષમાં ખેંચવાના ભરપૂર પ્રયત્નો કર્યા છે. આ અગાઉ પણ તેમણે દાવો કર્યો હતો કે શરદ યાદવનું તેમને સમર્થન છે.
લાલુએ ટિ્વટમાં કહ્યુ કે નીતિશકુમાર કફનમાં ખિસ્સુ હોતુ નથી. પરંતુ કુકર્મોના ધબ્બા જરૂર હોય છે. જનતા અને માલિક બધાના કર્મોના લેખા જોખા રાખે છે. ધીરજ રાખો. શરદભાઈ આવો બધા મળીને દક્ષિણપંથી તાનાશાહીને નાબુદ કરીએ. અત્રે જણાવવાનું કે આ અગાઉ નીતિશકુમારે મહાગઠબંધન તોડીને છઠ્ઠીવાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શનિવારે તેમની કેબિનેટે શપથ ગ્રહણ કર્યાં. જેમાં ૨૭ મંત્રીઓ સામેલ છે. જો કે શરદ યાદવ શપથ ગ્રહણ સમારોહમાં ન ગયા.
આગળની પોસ્ટ