માલદે ગોહેલ, ગીર-સોમનાથ
ગીર-સોમનાથમાં વેરાવળ તાલુકાના કાજલી ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી રાજદેવ સિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં જલ જીવન મિશન અંતર્ગત ગામમાં પાણી વ્યવસ્થાપન અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સભામાં વહીવટી તંત્ર દ્વારા કાજલી ગામ માટે પીવાના પાણી માટેની કામગીરીનું પાંચ વર્ષનું આયોજન અને અમલીકરણ રજૂ કરવામાં આવ્યું હતું. હર ઘર જળ યોજના હેઠળ ગામમાં ૧૦૦ ટકા નળ કનેકશનની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે જ્યારે ડિજિટલ માધ્યમથી લોકો સાથે સીધો સંવાદ યોજાયો હોય ત્યારે કાજલી ગ્રામસભામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ લોકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ગ્રામ્ય લોકો સાથેનો સંવાદ નિહાળ્યો હતો અને જળ સંરક્ષણ માટેના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૂચવેલા ઉપાયો ની માહિતી મેળવી હતી. સાથેજ કાજલી ગામના સરપંચ શ્રી મેરગ બારડે ગ્રામજનો સાથે મળીને પ્રધાનમંત્રીના આહવાન અનુસાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં સફાઈ કરીને ગામને નિર્મળ અને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યું હતું.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઇ પરમાર, કાજલી યાર્ડના ડીરેકટરશ્રી પરેશભાઇ પરમાર, અગ્રણીશ્રી વિક્રમભાઇ પટાટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પલ્લવીબેન બારૈયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ઓડેદરા, તલાટી કમ મંત્રીશ્રી હીરેનભાઇ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.