ભાજપની સત્તા અને પૈસાના જોરે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી ભાજપમાં ખેંચી રહેલા ભાજપ દ્વારા લોકશાહીની હત્યા થઇ રહી છે અને તેથી લોકશાહીની રક્ષા અને અમારા ધારાસભ્યોની સુરક્ષા માટે કોંગ્રેસના ૪૨ ધારાસભ્યોને કર્ણાટકના બેંગ્લુરૂ લઇને આવ્યા છીએ. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા ધાકધમકીથી લઇ કરોડો રૂપિયાની ઓફરો થઇ પરંતુ અમારા વફાદાર ધારાસભ્યો તૂટયા નહી કે કોંગ્રેસ છોડીને ગયા નહી. આદિવાસી, ગરીબ અને ઝંુપડામાં રહેતા કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપની રૂ.૧૫ કરોડની ઓફર ઠુકરાવી છે. ભાજપ સમજી લે કે, અમને કોઇ ખરીદી ના શકે, કોઇ ડરાવી ના શકે. અમારા બધા ધારાસભ્યો એક પરિવારની જેમ સાથે છે અને અમને અમારા વફાદાર ધારાસભ્યો માટે ગર્વ છે એમ આજે કોંગ્રેસના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલે કોંગ્રેસના ૪૨ ધારાસભ્યોને એકમંચ પર સાથે રાખીને કરેલી પત્રકારપરિષદમાં જણાવ્યું હતું. કોંગ્રેસના ૪૨ ધારાસભ્યો બેંગ્લુરૂ ગયા બાદ સૌપ્રથમવાર મીડિયા સામે આવ્યા હતા. શકિતસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલાં કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોને તોડવાનો અને રાજીનામા અપાવવાનો ભાજપનો પ્લાન હતો અને આ માટે લોકશાહીની હત્યા થાય તે પ્રકારે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી છે. પરંતુ અમારા વફાદાર ધારાસભ્યોએ ભાજપનો મેલો મનુસબો પાર પડવા નથી દીધો. અમારી પાસે કોંગ્રેસના ૫૭, એનસીપીના ૨ અને જેડીયુના એક મળી ૬૦ ધારાસભ્યોનું સંખ્યાબળ છે અને રાજયસભાની બેઠક જીતવાના પૂરતા અંક અમારી પાસે છે જ. ગોહિલે સ્પષ્ટ કરી દીધું હતું કે, પૂરના સમયે તા.૨૫મી જૂલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અમારા ધારાસભ્યો સૌથી પહેલા પહોંચ્યા હતા અને તેઓ ઉઁડા પાણીમાં ચાલી ચાલીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી અને જરૂરી રાહત અને બચાવની કામગીરી તેમ જ સહાય-પેકેજ માટે રાજયના મુખ્યસચિવને આવેદનપત્ર આપ્યુ હતું. એ વખતે ભાજપના એકપણ મંત્રી કે સરકારના એકપણ અધિકારી પૂરગ્રસ્ત વિસ્તારમાં ફરકયા ન હતા. જે સમયે કોંગ્રેસના ધારાસભ્યો પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકમદદે હતા ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં અને ખરીદવામાં વ્યસ્ત હતી. ગોહિલે એ પણ સ્પષ્ટતા કરી કે, કોંગ્રેસના ધારાસભ્યો કોઇ મોજમજા કે, ફરવા માટે બેંગ્લુરૂ આવ્યા નથી. જો મોજમજા કરવી હોત કે ફરવું હોત તો, ભાજપ પાસેથી અમારા ધારાસભ્યોએ રૂ.૧૫ કરોડ લઇ લીધા હોત. રૂ.૧૫ કરોડમાં આખી દુનિયાની સફર મોજથી થઇ શકે પરંતુ અમારા ધારાસભ્યો માત્ર પોતાની સુરક્ષા અને લોકતંત્રની રક્ષા માટે અહીં આવ્યા છે. અહીં પણ એટલે આવ્યા કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને તેથી ભાજપથી અહીં અમને રક્ષણ મળી શકે. હાલમાં બેંગ્લોરમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રોકાયેલા છે. શક્તિસિંહે કહ્યું હતું કે, લોકશાહીને બચાવવા માટેની લડાઈ ચાલી રહી છે. રાજકારણમાં દરેક બાબત શક્ય છે પરંતુ ભાજપની યુક્તિ અયોગ્ય છે. ૧૫ કરોડની ઓફર છતાં પક્ષના સભ્યો દૂર રહ્યા છે.