રાજદના ક્વોટામાંથી બિહારની નીતીશકુમાર સરકારમાં પ્રધાન બનેલા પ્રો.ચંદ્રશેખરે સીબીઆઇને લઇને એક વાંધાજનક અને વિવાદિત નિવેદન કર્યું છે.
બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન ચંદ્રશેખરે જણાવ્યું છે કે સીબીઆઇ પોપટની જેમ નહીં પણ હાલ કૂતરા કરતાં પણ વધુ ખરાબ કામ કરી રહી છે.નીતીશકુમાર કેબિનેટના પ્રધાન પ્રો.ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે રાજદના વડા લાલુપ્રસાદ યાદવ, પૂર્વ મુખ્યપ્રધાન રાબડીદેવી અને નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ જેલમાં જશે તો પણ ર૭ ઓગસ્ટે યોજાનારી ‘ભાજપ ભગાવો, દેશ બચાવો’ રેલી યોજાશે જ.
તેમણે જણાવ્યું હતું કે માત્ર પટણા જ નહીં, ફૂલવાડીથી લઇને ફતુહા સુધીની ગણતરી કરી લો, લાલુજીથી પણ પાંચ ગણી વધુ સંપત્તિ ધરાવતા ૧,૦૦૦ કરતાં વધુ પરિવારો હશે, પરંતુ કોઇના પર દંડો ચાલશે નહીં, તેમના કોઇ માટે નથી ઇડી કે નથી સીબીઆઇ, પરંતુ લાલુ યાદવના સંપૂર્ણ પરિવારને દફનાવી દેવા માટે ઇડી પણ છે અને સીબીઆઇ પણ છે. ભાજપના લોકો યુપીએના જમાનાથી કહેતા આવ્યા છે કે સીબીઆઇ તો સરકારના પાળેલા પોપટ જેવી છે, પરંતુ હવે તો સીબીઆઇ પોપટ નહીં પણ કૂતરા કરતાં પણ વધુ ખરાબ કામ કરી રહેલ છે. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે યુપીના ભાજપના નેતા સંગીત સોમ શું કરી રહ્યા છે? તે જણાવો. સંગીત સોમના ઇશારે મુઝફ્ફરનગરમાં રમખાણો થયાં હતાં.