પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર શહેરમાં મુખ્યપ્રધાન શાહબાઝ શરીફનાં નિવાસસ્થાન-કમ-કાર્યાલય નજીક આજે થયેલા એક ભયાનક બોમ્બ વિસ્ફોટમાં ૨૨ જણ માર્યા ગયા છે અને બીજાં ૩૦ જણને ઈજા થઈ છે.
મૃતકોમાં કેટલાક પોલીસજવાનોનો પણ સમાવેશ થાય છે.ધડાકાનું કારણ તત્કાળ જાણી શકાયું નહોતું.ધડાકો તે વિસ્તારમાં એક જૂના મકાનને તોડવામાં આવી રહ્યું હતું ત્યારે થયો હતો.
ધડાકો થયા બાદ આસપાસમાંથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. ધડાકો થયો હતો ત્યારે શાહબાઝ શરીફ મોડેલ ટાઉન ઓફિસમાં હતા.લાહોરના સબ્ઝી મંડી વિસ્તારમાં આરફા કરીમ ટાવરની નજીક આ ધડાકો થયો હતો. ધડાકો એટલો ભયાનક હતો કે થોડેક દૂર આવેલા ફિરોઝપુર રોડ ઉપર પણ તેનો અવાજ સાંભળી શકાયો હતો.