સિક્કીમ સરહદ પર ચીન સાથે ચાલી રહેલા ઘર્ષણને લઈને વિદેશપ્રધાન સુષમા સ્વરાજે સંસદમાં વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, આખરે ભારતે ક્યા સંજોગોમાં ચીન સામે કડક વલણ અપનાવવું પડ્યું છે.ઉલ્લેખનીય છે કે, એક મહિના કરતા પણ વધારે સમયથી ડોકલામમાં ભારત અને ચીનની સેનાઓ આમનેસામને છે અને આ મામલે હજી સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી.કોંગ્રેસ સાંસદ દ્વારા વિદેશપ્રધાનને પુછવામાં આવ્યું કે, શું ચીન હિન્દ મહાસાગરમાં પોતાની સબમરીન તહેનાત કરીને ભારતની ઘેરાબંધી કરી રહ્યું છે? જેનો જવાબ આપતા સુષમા સ્વરાજે કહ્યું કે, ચીને સમુદ્રી સરહદની આસપાસ તેની સક્રિયતા વધારી છે પરંતુ ભારત પોતાની સુરક્ષા અંગે સતર્ક છે અને આથી જ ચીન ભારતને ઘેરી શકે નહીં. સુષમાએ જણાવ્યું કે ભારતની સ્થિતિ દક્ષિણ ચીન સાગર અંગે બિલકુલ સ્પષ્ટ છે. ત્યાં ફ્રીડમ ઓફ નેવિગેશન હોવું જોઈએ અને વ્યાપાર ઉપર કોઈ પણ પ્રકારના વિધ્નો આવવા જોઈએ નહીં.
સિક્કીમ સરહદ પર વિવાદ અંગે જાણકારી આપતા સુષમા સ્વરાજે કહ્યું કે, ભારત અને ચીન ઉપરાંત ચીન અને ભૂટાન વચ્ચે પણ સરહદ વિવાદ ચાલી રહ્યો છે. ભારતે આ મામલાના ઉકેલ માટે પ્રતિનિધિ નક્કી કર્યા છે. વિદેશપ્રધાનના જણાવ્યા મુજબ સરહદ નક્કી થવાના મામલાનો દરેક દેશોએ પરસ્પર સહમતીથી ઉકેલ લાવવાનો હોય છે પરંતુ આ એક એવી જગ્યા છે જેને ટ્રાઈજંક્શન કહે છે. જેને લઈને ૨૦૧૨માં સમજૂતી થઈ હતી કે ભારત, ચીન અને ભૂટાને મળીને સરહદ નક્કી કરવાની છે. વિદેશપ્રધાનના જણાવ્યાં અનુસાર ચીની સૈનિક આ વિસ્તારમાં આવતા જતાં રહે છે.
જોકે આ વખતે ચીની સેના બુલડોઝર અને ભારે સામાન લઈને ભારતીય સરહદમાં પહોંચી જતા પરિસ્થિતિ તંગ બની હતી.
વિદેશપ્રધાને એમ પણ કહ્યું કે ભારત હમેશાંથી ઈચ્છતું રહ્યું છે કે, ટ્રાઈજંક્શનને લઈને તણાવ પુરો કરવામાં આવે. પરંતુ ટ્રાઈજંક્શન પોઈન્ટમાં ચીનની સૈનિક કાર્યવાહી થતાં ભારતે પોતાના હિતોનું ધ્યાન રાખવા સૈનિક કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
સુષમાએ કહ્યું કે, ચીન અહીં યથાપૂર્ણ સ્થિતિને બદલી નાખે તો ભારતની સુરક્ષા ખતરામાં પડી જાય. ભારત તરફથી આ મામલે કોઈ પણ ગેરવ્યાજબી પગલું નહીં લેવાયું હોવાનું પણ વિદેશપ્રધાને જણાવ્યું અને કહ્યું કે, ભૂટાન સહિત વિશ્વના અનેક દેશો ભારતના વલણનું સમર્થન કરે છે.