રાજ્ય સરકારે ગ્રામીણ સ્વાસ્થ્યને અગ્રતા આપતાં રાજ્યમાં વધુ ૬૦પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપી છે. આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ ગુજરાતના ગામડાંઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તાર હેતુથી આ જાહેરાત કરી હતી.
શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતના ગામજનોને પણ ઘરઆંગણે વધુ સારી આરોગ્યસેવા મળી રહે તે હેતુથી વધુ ૬૦પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ગુજરાત સરકારે મંજૂરી આપી છે, ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યા વધીને હવે ૧૪૫૩પહોંચશે.પ્રતિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ પાછળ એક કરોડ જેટલી રકમનો ખર્ચ થાય છે તે પ્રમાણે આ ૬૦ પ્રાથમિક આરોગ્યકેન્દ્રોના નિર્માણ પાછળ રાજ્ય સરકાર પ્રથમ તબક્કે ૬૦ કરોડ જેટલો ખર્ચ કરશે.
સીએચસીના ઉપલબ્ધ માળખાને સમાંતર મંજૂર કરવામાં આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી વધુને વધુ નાગરિકોને એક સંકલિત સ્વાસ્થ સુવિધાઓ પૂરી પાડે તેવી એકબીજા સાથે સંકળાયેલ સશક્ત રાજ્યવ્યાપી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
ચૌધરીએ જણાવ્યું હતુ કે ગુજરાતે છેલ્લાં દશ વર્ષમાં પોતાના આરોગ્ય બજેટમાં સાત ગણો વધારો કર્યો છે અને તે સાથે અમૃતમ જેવી યોજનાઓનો લાભ નાગરિકોને મળે તેવી વ્યવસ્થા પણ ઉભી કરી છે.