ઉત્તરપ્રદેશ સહિત દેશના જુદા જુાજા ભાગોમાં ભારે વરસાદ જારી રહેતા જનજીવન પર પ્રતિકુળ અસર થઇ છે. એકબાજુ ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે મુખ્ય નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે. બીજી બાજુ આસામમાં પુરની સ્થિતીમાં આંશિક સુધાર થયો છે. આસામમાં પુરના કારણે ૩.૮૩ લાખ લોકોને માઠી અસર થઇ છે. વીજળીના કરંટના કારણે એક મહિલાનુ મોત થતા આસામમાં પુર અને ભારે વરસાદ સાથે સંબંધિત બનાવોમાં મોતનો આંકડો વધીને ૨૬ ઉપર પહોંચી ગયો છે. આસામ સ્ટેટ ડિસાઝસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કહેવા મુજબ ૯૩૨ ગામો હજુ પણ જળબંબાકારની સ્થિતીમાં છે. જોરહાટ, ગોલપારા અને ધુબ્રી સહિત કેટલાક વિસ્તારોમાં બ્રહ્યપુત્ર નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. રાજ્યના પાટનગર ગુહાવાટીમાં પણ અસર થઇ છે. આસામમાં ૧૫ જિલ્લાના લાખો લોકોને પુરની અસર થઇ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અસરગ્રસ્ત લોકોને વધારે તકલીફ ન પડે તે માટે ૧૨૮ કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન સર્વાનન્દ સોનેવાલે કહ્યુ છે કે સ્થિતી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રાજ્યની મુખ્ય નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે. પુરના કારણે રાજ્યમાં ૧૬૦૦૦ હેક્ટરથી વધારે વિસ્તારમાં પાકને નુકસાન થયુ છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. બચાવ અને રાહત કામગીરીમાં સુરક્ષા દળોની મદદ લેવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોને રાહત છાવણીમાં પણ ખસેડી લેવામાં આવ્યા છે. ૩૯૦૦૦ લોકો ઘરવગરના થઇ ગયા છે. આસામમાં પુરની જ્યાં સુધી વધારે અસર થઇ છે તેમાં લખીમપુર, શિવસાગર, કચાર, ધેમાજી, વિશ્વનાથ, જોરહાત, ગોલાઘાટ, કરીમગંજ, સોનિતપુર અને નાલબેરીનો સમાવેશ થાય છે. ઉત્તરપૂર્વીય રાજ્ય આસામના સૌથી મોટા શહેર ગુવાહાટીને પણ અસર થઇ છે. કાજીરંગા નેશનલ પાર્ક, નામેરી નેશનલ પાર્ક અને પોબિટોરા વાઇલ્ડ લાઇફ પાર્કને પણ પ્રતિકુળ અસર થઇ છે. બીજી બાજુ લખનૌથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉત્તરપ્રદેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. ઘાઘરા નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરને પાર કરી ગઇ છે. ગોન્ડા જિલ્લાના કેટલાક ગામોમાં પુરના પાણી ફરી વળ્યા છે. બિહારના કેટલાક ભાગોમાં પણ ગઇકાલથી વરસાદ થઇ રહ્યો છે. દરમિયાન હરિયાણા અને પંજાબમાં મોટા ભાગના વિસ્તારોમાં દિવસનુ તાપમાન સામાન્ય હદની અદર રહ્યુ છે. બન્ને રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આગળની પોસ્ટ