એર ઇન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયા આગળ વધારવા માટે નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વ હેઠળ પાંચ સભ્યોની સમિતિ રચવામાં આવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સુરેશ પ્રભુ, પીયૂષ ગોયલ અને અશોક ગજપતિ રાજુનો સમાવેશ થશે.આ કમિટી રાષ્ટ્રીય એરલાઇનના ખાનગીકરણની પ્રક્રિયા નક્કી કરશે અને તેના માળખાને અંતિમ ઓપ આપશે. સરકાર ઇચ્છે છે કે પ્રક્રિયા ઝડપથી પૂરી થાય અને છ મહિનાની અંદર બિડિંગ ચાલુ થઈ જાય.અધિકારીએ જણાવ્યું કે, સરકારની યોજના આ પ્રક્રિયા શક્ય એટલી ઝડપથી પૂરી થાય તે માટેની છે. ગયા બુધવારે કેન્દ્રીય કેબિનેટે એર ઇન્ડિયાના ખાનગીકરણની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે પ્રક્રિયા અંગે સમિતિ દ્વારા નિર્ણય લેવાશે.સમિતિ દ્વારા કંપનીના બિનટકાઉ ઋણ, એસેટ્સને શેલ કંપનીમાં અલગ કરવી, નફો કરતી ત્રણ પેટાકંપનીઓના ડિમર્જર અને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત તે કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટની ટકાવારી તથા બિડર્સમાં કોને સામેલ કરવા તે નક્કી કરશે.
વિદેશી કંપનીને એર ઇન્ડિયામાં હિસ્સો ખરીદવા દેવાશે કે નહીં તે નક્કી કરવાનું બાકી છે.એર ઇન્ડિયાની નફો કરતી ત્રણ પેટાકંપનીઓ એર ઇન્ડિયા એક્સપ્રેસ (નીચાં ભાડાંની આંતરરાષ્ટ્રીય એરલાઇન), એઆઇ ટ્રાન્સપોર્ટ સર્વિસિસ લિ (ગ્રાઉન્ડ હેન્ડલિંગ યુનિટ) અને એઆઇ-સેટસ લિ (સિંગાપોર એરપોર્ટ ટર્મિનલ સર્વિસિસ સાથે હિસ્સેદારીમાં ૫૦ઃ૫૦ ગ્રાઉન્ડ હેન્ડલિંગ હિસ્સેદારી) સામેલ છે.એર ઇન્ડિયાની કુલ ખોટ રૂ.૫૦,૦૦૦ કરોડને વટાવી ગઈ અને તથા તેના પરનું ઋણ રૂ.૫૫,૦૦૦ કરોડથી વધારે છે અને સતત વધી રહ્યું છે. પરિણામે એરલાઇનની હાલત સુધરવાની શક્યતા ન હોવાથી એર ઇન્ડિયાને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૧૨માં અગાઉની યુપીએ સરકારે નવ વર્ષ માટે રૂ.૩૦,૨૩૧ કરોડનું બેઇલ આઉટ પેકેજ આપ્યું હોવાથી તેના આધારે એર ઇન્ડિયા હાલમાં ચાલુ છે.
આગળની પોસ્ટ