સમગ્ર વિશ્વમાં એક માત્ર ગિરનારની લીલી પરિક્રમા છે કે જેમાં લાખો લોકો એક સાથે ગાઢ જંગલને માણી શકે છે જેમાં ગરવા ગાઢ ગિરનારમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ મનાય છે તે પર્વતની પરિક્રમા કરી લોકો ધન્યતા અનુભવે છે. દેશના ખૂણે ખૂણેથી જય ગિરનારીના નાદ સાથે લાખોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપુર પરિક્રમા કરવા જૂનાગઢ ભણી દોટ મૂકે છે અને તેમાંના તો ઘણાં બધાં સમય કરતાં વહેલા જ લીલી પરિક્રમા શરૂ કરી દેતા હોય છે પણ આ કાળમુખો કોરોના કાળ પરિક્રમાર્થીઓ સાથે સાથે હજારો સ્થાનિક ધંધાર્થીઓ માટે અભિશાપ સાબિત થયો છે. આ વર્ષે નહીં યોજાનારી લીલી પરિક્રમા હજારો લોકોની રોજગારીને સીધી અસર કરશે પણ આ બધાંની વચ્ચે જંગલ અંદરને અંદર મલકાતું હશે કે, ‘‘હાશ આ વર્ષે તો ગંદકી થી બચીશું !’’ આદિ અનાદિકાળથી ચાલી આવતી ગિરનારની લીલી પરિક્રમાને આ વર્ષે બ્રેક લાગી છે. ૮ – ૧૦ લાખ લોકો પરિક્રમ કરવા આવતા હોય છે. ત્રણ ચાર દિવસ જંગલને ઘમરોળી નાંખતા ભાવિકો પર્યાવરણની કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર ગાઢ જંગલની પ્રકૃતિને માણવામાં મશગુલ બની જાય છે. એક શબ્દ છે સેલ્ફ ડિસિપ્લિન (સ્વયં શિસ્ત) જેને આપણાં ભણતર સાથે કંઈ જ લેવાદેવા નથી. આ સ્વયં શિસ્તના અભાવના કારણે મોટી મોટી હોનારતો આ પૃથ્વી પરની દરેક પ્રજાતિ સહન કરતી આવી છે અને હજુ પણ કરી રહી છે અને જો આમાં બદલાવ લાવવામાં નહીં આવે તો અતિ ગંભીર પરિણામો પણ ભોગવવા પડશે. આસ્થાને હવે ઠોકી બેસાડવાની બદલે સમજાવવાની જરૂર છે જે માત્ર ધર્મગુરુઓ થકી જ શક્ય છે કેમકે બીજા કોઈ કહેશે તો તેનો નાસ્તિક કહીને વિરોધ કરવામાં આવશે. પરિક્રમામાં ભાવિકો દ્વારા જે પ્લાસ્ટિક કે કોઈ ખાવાની વસ્તુ નાંખવામાં આવે છે તે માની લો કે ત્યાંનું કોઈ પ્રાણી પ્લાસ્ટિક કે ન ખાવાની કોઈ વસ્તુ ખાઈ ગયું અને ૪-૫ દિવસો સુધી એને એ જ ખાધું તો પ્લાસ્ટિક તેના શરીરમાં પચશે નહીં માટે હવે તેનું પેટ ભરેલું રહેશે અને ભૂખ હોવા છતાં તે કંઈ જ ખાઈ નહીં શકે અને તડપી તડપીને ભૂખના મારે તે પ્રાણી કદાચ મરી જશે. તેલવાળું ખાવાનું જે પ્રાણીઓ કે પક્ષીઓને માફક આવતું નથી એ કદાચ તે આરોગશે તો આપણી ભૂલ અને બેજવાબદારીના કારણે મરી જશે. એક વૃક્ષ જે જીવનમાં હજારો લોકોને ઑક્સિજન આપવાનું હતું તે બની શકે કે લોકો દ્વારા નંખાયેલી પ્લાસ્ટિકની બોટલોના કારણે ઉગી જ ન શકે ! આવું બધું થવા છતાં ‘‘પુણ્યનું ભાથું બાંધ્યું’’ એ કહેવું કેટલી હદે યોગ્ય છે ? એટલે જ આ વર્ષે લાખો લોકો પવિત્ર ગિરનારમાં પોતાની ગંદકી નહીં છોડીને ખરેખર સાચા અર્થમાં પુણ્યનું ભાથું બાંધશે !
ગિરનારની પરિક્રમા બંધ રહી માટે હું પ્રકૃતિને બચવાનો વધુ એક ચાન્સ મળ્યો એ રીતે લઉં છું. પરિક્રમાની સાથે સાથે જે કચરો ફેલાવી પ્રકૃતિની બેઈજ્જતી કરવામાં આવે છે તેને પ્રકૃતિ ક્યાં સુધી સહન કરશે ? એ જોવાનું રહ્યું કેમકે પોતાની માતા પર જો કચરો નાંખવાનું વિચારી પણ ન શકતા હોય તો પ્રકૃતિ પણ માતા જ છે જેનાથી આ પૃથ્વી પરનો દરેક જીવ બન્યો છે તેની સાથે આવો વ્યવહાર કેમ ? અને જો આપણે વ્યવહાર ન સુધારી શકતા હોય તો આપને આવી પરિક્રમાથી વંચિત રહીએ એ જ યોગ્ય છે.
વિવેક પરમાર, સિનિયર ઇન્સ્ટ્રક્ટર, પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ,ગાંધીનગર
સમગ્ર વિશ્વ માટે ઘાતક પુરવાર થયેલ વાયરસ કોવિડ-૧૯ને પગલે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમાની વર્ષો જૂની પરંપરાને રોકવામાં આવી છે જેને લઈને લાખો શ્રદ્ધાળુઓમાં દુઃખની લાગણી જોવા મળી પરંતુ સાથે સાથે કોરોનાનાં કહેરથી બચવા માટેનાં સરકારશ્રીનાં આ પગલાંને ગિરનારનાં સાધુ, સંતો, મહંતો અને સમગ્ર વિશ્વનાં શ્રદ્ધાળુઓએ સમર્થન આપ્યું. એક બાજુ શ્રદ્ધાળુ તરીકે દુઃખની લાગણી છે, પરંતુ એક પર્યાવરણ પ્રેમી તરીકે ગિરનાર અને ગિરનારનાં જંગલને જે ખુશી થઈ રહી છે. એ ખુશીને હું ખુબજ સારી રીતે અનુભવી શકું છું. ઈંમ્અીમ્અીઁઙ્મટ્ઠજૈંષ્ઠ અભિયાન હેઠળ અમે પ્લાસ્ટિકનાં વપરાશને ધીમે ધીમે ઓછો કરવાનાં સકારાત્મક પ્રયાસો કરી રહ્યાં છીએ ત્યારે, ખુશીની વાત કહી શકાય કે, આ વર્ષે ગિરનાર અને ગીરનું જંગલને લાખો શ્રદ્ધાળુઓ દ્વારા ફેંકાતા ટનબંધ માનવસર્જિત કચરામાંથી મુક્તિ મળી છે. દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ પ્લાસ્ટિક, કાગળ, કપડાં અને અન્ય ગંદકી ફેલાવીને પરિક્રમા કરીને જતાં રહે છે. લાખો લોકોનું ફૂટફોલિંગ થકી કાર્બન ડાયોકસાઈડથી જંગલ પ્રદુષિત થાય છે જ્યારે, આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા બંધ હોવાથી ગિરનાર અને ગીરના જંગલને શાંતિ મળશે, એને પોતાને કુદરતી વાતાવરણ નો અહેસાસ થશે જ.
(તસવીર / આલેખન :- કૌશલ સોલંકી, ધોરાજી)