હિંમતનગરના ગોકુલ નગર રેલવે ફાટક પાસેના રોડની હાલત છેલ્લાં ઘણાં સમયથી બિસ્માર છે. હિંમતનગર ઉદેપુર રેલ પરિવર્તનની કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે ગોકુલનગર ફાટક પાસે રેલવે દ્વારા ચાર માસ અગાઉ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો જે રોડ બિસ્માર બની ચૂક્યો છે. નવીન રોડ બનાવ્યાને હજી તો છ મહિના પણ પૂર્ણ થયા નથી અને મસમોટા ખાડા પડી ગયા છે. આ રોડ ઉપરથી વાહનચાલકોને પસાર થવું પણ જોખમરૂપ બની રહ્યું છે. ખાડા પડવાના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. હાલ તો અકસ્માત પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક સોશિયલ વર્કર દ્વારા રેલવેના અધિકારી સાથે વારંવાર ટેલિફોનિક ચર્ચા કરતાં જાણવા મળ્યું હતું કે વરસાદની સીઝન પૂર્ણ થયા બાદ રોડ રિપેરિંગનું કામ ચાલુ થશે. કોઈપણ રોડ જો એક વર્ષમાં તૂટી જાય તો જે-તે કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે અને આ રોડ પર ચાર મહિનામાં જ મસમોટા ખાડા પડી ગયા છે તો રોડ બનાવતી વખતે ઓછી ગુણવત્તાવાળા સામાનનો ઉપયોગ કરાયો હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)
પાછલી પોસ્ટ