સમગ્ર વિશ્વમાં આતંકવાદનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, દર મહિને કોઈ ને કોઈ દેશમાં આતંકવાદી હુમલાની ઘટના જોવા મળે છે, માર્ચ મહિનાથી મે મહિના સુધીમાં ત્રણ જુદા-જુદા દેશમાં આતંકવાદી હુમલા થયા અને આ તમામ હુમલામાં ધાર્મિક સ્થળોને જ નિશાન બનાવાયા હતા. માર્ચ મહિનામાં ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં બે મસિજ્દ પર આતંકી હુમલો થયો હતો, એપ્રિલ મહિનામાં શ્રીલંકામાં ખ્રિસ્તિઓના ઈસ્ટર તહેવાર નિમિત્તે ચર્ચમાં હુમલો થયો હતો અને હવે મે મહિનામાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસમાં પાકિસ્તાનમાં એક દરગાહ પર આતંકવાદી હુમલો થયો છે. આ ત્રણેય હુમલામાં આતંકવાદીઓનો સોફ્ટ ટાર્ગેટ ધાર્મિક સ્થળ રહ્યું છે.૧૫ માર્ચ, ૨૦૧૯ના રોજ ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં આવેલી બે મસ્જિદમાં શુક્રવારના દિવસે જ આતંકી હુમલો થયો હતો. આતંકીએ હુમલા માટે જૂમ્માની નમાઝનો સમય પસંદ કર્યો હતો, જેથી કે મોટી સંખ્યામાં નમાઝીઓ મસ્જિદમાં હાજર હોય. ક્રાઈસ્ટ ચર્ચના મધ્યમાં આવેલી ’અલ-નૂર મસ્જિદ’ અને શહેરના સબ-અર્બ વિસ્તારમાં આવેલી ’લિનવૂડ’ મસ્જિદને આતંકીએ નિશાન બનાવી હતી. આતંકવાદીએ આ મસ્જિદમાં નમાઝના સમય પહેલા ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ૪૯થી વધુનાં મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૨૧ એપ્રિલ, ૨૦૧૯ના રોજ શ્રીલંકામાં ચર્ચ સહિત અનેક સ્થળે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આતંકીએ હુમલા માટે ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર ’ઈસ્ટર’ પસંદ કર્યો હતો. ઈસ્ટર નિમિત્તે શ્રિલંકામાં મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ ફરવા પણ આવતા હોય છે. આ હુમલાં એક ચર્ચ અને એક ફાઈવ સ્ટાર હોટલને નિશાન બનાવાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો હાજર હતા. આ હુમલામાં ૩૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા અને ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૮ મે, ૨૦૧૯ના રોજ પાકિસ્તાનના લાહોરમાં આવેલી પ્રખ્યાત દરગાહ ’દાતા દરબાર’ની બહાર એક ફિદાયિન હુમલો કરવામાં આવ્યો. જેમાં ૫ પોલિસ કર્મચારી સહિત ૮નાં મોત થયા છે અને ૨૪થી વધુ લોકો ઘાયલ થયા છે. અત્યારે મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આ કારણે દરગાહમાં મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયેલા હતા. વળી, આ દરગાહ દક્ષિણ એશિયાની સૌથી મોટી દરગાહ છે અને ૧૧મી સદીમાં બનેલી છે.