પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. મમતાએ કહ્યું છે કે મોદી ચૂંટણી પહેલા ક્યારેય પશ્ચિમ બંગાળ આવ્યા નથી અને હવે લોકો પાસેથી વોટ માંગી રહ્યા છે. અમે તેમને બંગાળના રસગુલ્લા આપીશું. અમે માટીમાંથી મિઠાઈ બનાવીશું અને તેમાં પત્થર નાખીશું જેવી રીતે લાડવામાં કાજુ અને કિશમિશનો ઉપયોગ થાય છે. આ મિઠાઈને ખાધા પછી તેમના દાંત તુટી જશે.
આ પહેલા બાલુરઘાટ અને ગંગારામપુરની રેલીમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે દિલ્હીનો લાડવો જે પણ ખાય તે પસ્તાય છે. ૨૦૧૪માં તેમણે બે સીટ જીત હતી, આ વખતે તેમને મોટો રસગુલ્લો મળશે. તેમને મોટું શૂન્ય મળશે.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બંને હાથમાં બંગળના મતદાતાઓને લાડવા આપવાનો વાદયો ક્યારેય નિભાવી શકશે નહીં. ૨૦૧૬ વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળની એક રેલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે જો બીજેપી સત્તામાં આવશે તો તમારા બંને હાથમાં લાડવો હશે.મમતાએ દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં બીજેપીને ૧૦૦ સીટો પણ નહીં મળે. ભગવા પાર્ટીને દક્ષિણના રાજ્યો આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં કોઈ સીટ મળશે નહીં. આ સાથે પાર્ટી ઓરિસ્સા અને પૂર્વોત્તરમાં પણ ખાતું ખોલાવી શકશે નહીં. યૂપીને લઈને મમતાએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં તેમણે ૭૩ સીટો જીતી હતી, મને શંકા છે કે આ વખતે ૧૩ સીટો પણ જીતી શકશે નહીં.